ટ્રેજેડી કિંગ દિલિપ કુમારની જીવનના અભિયાનમાંથી ‘એક્ઝિટ’

649

મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં સવારે ૭.૩૦ કલાકે અંતિમ શ્વાસ લીધા, હિન્દી સિનેમા જગતના એક યુગનો અંતઃ ૧૯૪૪માં ફિલ્મ જ્વાલાથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતુ, દિલીપ કુમારે ઠુકરાવી હતી ૭ ઓસ્કર એવોર્ડ જીતનારી હોલિવૂડ ફિલ્મ : દિલીપ કુમારને પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાળકે, પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા હતા
(જી.એન.એસ.)મુંબઇ,તા.૭
દિગ્ગજ એક્ટર દિલીપ કુમારે ૯૮ વર્ષની ઉંમરમાં હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના જવાથી હિંદી સિનેમાના એક યુગનો અંત થઈ ગયો છે. આજે (૭ જુલાઈ) સવારે સાડા સાત વાગે તેમનું હોસ્પિટલમાં અવસાન થયું હતું. છેલ્લાં એક મહિનામાં તેઓ બેવાર હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તેમને જુહૂના કબ્રસ્તાનમાં પાંચ વાગે સુપુર્દ-એ-ખાક કરવામાં હતા. તેમનો પાર્થિવ દેહ હોસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ જ કબ્રસ્તાનમાં મોહમ્મદ રફી, મધુબાલા, મઝરૂહ સુલ્તાનપુરી સહિત અનેક જાણીતી મુસ્લિમ સેલિબ્રિટીઝને દફન કરવામાં આવી છે. ૩૦ જૂને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા ૮ દિવસથી ICU માં હતા. વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ, અમિત શાહ સહિત દેશની મોટી હસ્તિઓએ દિલીપ કુમારના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.શાહરૂખ ખાન, શબાના આઝમી, ધર્મેન્દ્ર, કરણ જોહર સહિતની હસ્તીઓ દિલીપ કુમારને અંતિમ વિદાય આપવા તેમના ઘરે પહોચી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે પણ અહી પહોચ્યા હતા.દિલીપકુમારનું અસલ નામ મોહમ્મદ યુસૂફ ખાન હતું અને તેમનો જન્મ અવિભાજિત ભારતના પેશાવરમાં ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ થયો હતો. તેમણે વર્ષ ૧૯૪૪માં ફિલ્મ જ્વાર ભાટાથી બોલીવુડમાં ડગ માંડ્યા હતા. ત્યારબાદ દિલીપકુમાર બોલીવુડના પહેલા સુપરસ્ટાર બન્યા અને તેમણે એકથી એક સફળ ફિલ્મો આપી. દિલીપકુમાર બોલીવુડના ટ્રેજડી કિંગ તરીકે પણ ઓળખાતા હતા. તેમણે પોતાની કરિયરમાં શહીદ, મેલા, અંદાજ, જોગન, બાબુલ, દાગ, આન, દેવદાસ, આઝાદ, નયા દૌર, મધુમતી, પૈગામ, કોહિનૂર, મુઘલ એ આઝમ, ગંગા જમુના, રામ ઔર શ્યામ, ગોપી, ક્રાંતિ, શક્તિ, વિધાતા, કર્મા અને સૌદાગર જેવી સુપરડુપર હિટ ફિલ્મો આપી.દિલિપ કુમારનો જલવો માત્ર બોલીવૂડ જ નહીં પણ હોલીવૂડાં પણ હતો.એક પછી એક સુપરહીટ ફિલ્મો આપનારા દિલિપ કુમારને હોલીવૂડની ઓફર આવી હતી પણ તેમણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. આ ફિલ્મ પણ જેવી તેવી નહોતી.હોલીવૂડની મેગા બજેટ ફિલ્મ લોરેન્સ ઓફ અરેબિયામાં કામ કરવા માટે ડાયરેક્ટર ડેવિડ લીને દિલિપ કુમાર સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો.ડેવિડ ફિલ્મમાં પ્રિન્સ શેરિફ અલી માટે કોઈ યુરોપિયન કે અમેરિકન એકટર લેવા નહોતા માંગતા.એટલે તેઓ દિલિપ કુમાર પાસે ગયા હતા.જોકે દિલિપ કુમારે આ રોલ કરવાનો ઈનકાર કરી દીધો હતો.દિલિપ કુમારને હોલીવૂડમાં ખાસ રસ નહોતો.દિલીપકુમારને ભારત સરકાર દ્વારા અનેક એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમને પદ્મવિભૂષણ, દાદા સાહેબ ફાળકે, પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેઓ ૨૦૦૦થી ૨૦૦૬ સુધી રાજ્યસભાના સાંસદ પણ રહ્યા હતા. પાકિસ્તાને પણ દિલીપકુમારને પોતાના સર્વોચ્ચ નાગરીક એવોર્ડથી નવાજ્યા હતા.
વડાપ્રધાન મોદી
પીએમ મોદીએ લખ્યુ છે કે, “દિલીપ કુમારજીને સિનેમાની દુનિયાના મહાન વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. તેમને અનોખી પ્રતિભાના આશીર્વાદ મળ્યા હતા, આ જ કારણે અનેક પેઢીઓના લોકો તેમનો ચાહતા હતા. તેમનું જવું એ આપણી સાંસ્કૃતિક દુનિયા માટે મોટી ખોટ છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના.”
રાજનાથ સિંહ
દિલીપ સાહેબના નિધન પર રક્ષા મંત્રી રાજનાથસિંહે ટ્‌વીટ કર્યું કે, “દિલીપ કુમારજી એક ઉત્કૃષ્ટ અભિનેતા હતા, જેમને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમના અનુકરણીય યોગદાન માટે તમામે ખૂબ વખાણ્યા છે. ગંગા-જમના જેવી ફિલ્મોમાં તેમના અભિનયને લાખો સિનેપ્રેમીઓને પ્રભાવિત કર્યાં છે. તેમના નિધનથી મને ઊંડો આઘાત લાગ્યો છે.”
રાહુલ ગાંધી
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યુ કે, “દિલીપ કુમારજીના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે મારી હાર્દિક સંવેદના. ભારતીય સિનેમામાં તેમના અસાધારણ યોગદાનને આગામી પેઢીઓ માટે યાદ કરવામાં આવશે.”

Previous articleમોદી કેબિનેટનું વિસ્તરણઃ ગુજરાતનો દબદબો
Next articleપૂર્વ કેન્દ્રીય મંત્રીની પત્નીની ઘરમાં ઘૂસીને હત્યા કરાઈ