હું બિહારમાં ’ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકરનું મંદિર સ્વખર્ચે બનાવીશઃ ’સુપર ફેન’ સુધીર કુમાર

758

(જી.એન.એસ)મુઝફ્ફરપુર,તા.૧૭
બિહારના મુઝફ્ફરપુરમાં ’ક્રિકેટના ભગવાન’ કહેવાતા સચિન તેંડુલકરનું મંદિર બનશે. આની જાહેરાત સચિનના ’સુપર ફેન’ સુધીર કુમારે કરી હતી. તેમણે કહ્યું હતું કે ૪ વર્ષની અંદર આ મંદિરનું નિર્માણ પૂર્ણ થશે. અત્યારે સુધીર મંદિર બનાવવા માટે જગ્યા શોધી રહ્યો છે. જો કોઇ કારણોસર મંદિર માટે જગ્યા નહીં મળે તો મુઝફ્ફરપુરમાં જ ક્યાંક તે મંદિરનું નિર્માણ કરશે.
સુધીરે ઇચ્છા પ્રગટ કરી હતી કે આ મંદિરમાં સૌથી પહેલા સચિન પ્રવેશ કરે. તે મંદિરના ઉદ્ઘાટન માટે સચિનને તે આમંત્રણ પણ આપશે. જ્યારે સુધીરને પૂછવામાં આવ્યું કે શું તે મંદિર બનાવવા માટે ડોનેશન માગશે? તો એણે આ વાતને નકારી કાઢી હતી. સુધીરે કહ્યું, હું સ્વખર્ચે આ મંદિરનું નિર્માણ કરીશ. સુધીરે કહ્યું, હું સચિન તેંડુલકરના કારણે જ દેશ-વિદેશમાં પ્રખ્યાત થયો છું. જ્યારે પણ હું દક્ષિણ ભારતમાં જતો હતો ત્યારે ત્યાં સુપરસ્ટાર રજનીકાંતના મંદિરને જોતો હતો. કોલકાતાની વાત કરીએ તો ત્યાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનનું પણ મંદિર બનાવાયું છે. બસ, અહીંથી મને પ્રેરણા મળી અને હવે હું પણ ’ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકરનું મંદિર બનાવીશ. સુધીર કુમારે કહ્યું, તે અત્યારથી જ મંદિરની બ્લૂપ્રિન્ટ બનાવી રહ્યા છે. હું મંદિરમાં સચિન તેંડુલકરની માર્બલની મૂર્તિઓ સ્થાપિત કરીશ. આ મંદિરને ભવ્ય રૂપ આપીશ. આ અંગે હું નિષ્ણાતો સાથે વાતચીત પણ કરી રહ્યો છું. સુધીરે જણાવ્યું, મારી ઇચ્છા છે કે સચિન તેંડુલકર બિહાર આવે. અહીં તેમના ફેન્સ છેલ્લા કેટલાય વર્ષોથી તમની રાહ જોઈ રહ્યા છે. અત્યારે કોવિડ પરિસ્થિતિના કારણે હું ઈન્ડિયન ટીમને ચિયર કરવા માટે સ્ટેડિયમ જતો નથી. હું હાલ તો મારા પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવી રહ્યો છું. સુધીર કુમારના મિત્ર રાજન શર્માએ જણાવ્યું, જો મંદિરનું ઉદ્ઘાટન અથવા શિલાન્યાસ સચિન તેંડુલકર કરશે તો મુઝફ્ફરપુરના લોકોનું સચિન તેંડુલકરને સાક્ષાત જોવાનું સપનું પણ પુરુ થઈ જશે.

Previous articleભારતીય ક્રિકેટર શિવમ દુબેએ ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે કર્યા લગ્ન
Next articleભારત સામેની શ્રેણી માટે શ્રીલંકાની ૨૪ ખેલાડીઓની ટીમ જાહેર