હંગામા બાદ લોકસાભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત

514

પેગાસસ સહિત વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી સાંસદોએ કર્યો હોબાળો
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૩
પેગાસસ જાસૂસી ઘટના, ત્રણ નવા કેન્દ્રીય કૃષિ કાયદા સહિત વિવિધ મુદ્દાઓ પર કોંગ્રેસ અને અન્ય વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો કરતા લોકસભાની કાર્યવાહી શુક્રવારના રોજ પણ સ્થગિત કરવામાં આવી. તમામ પ્રયાસો કર્યા પછી પણ વિપક્ષના સાંસદોના વર્તનમાં કોઈ બદલાવ જોવા ના મળ્યો અને આખરે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદની કાર્યવાહી સોમવાર, ૨૬ જુલાઈ સુધી સ્થગિત કરી દીધી. ઉલ્લેખનીય છે કે અત્યારે સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સવારે સંસદની કાર્યવાહી શરુ થઈ તો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ઓલિમ્પિક્સ રમતો માટે ભારતીય રમતવીરોને શુભકામનાઓ પાઠવી અને પ્રશ્નકાળની શરુઆત કરી. ત્યારપછી અમુક વિપક્ષના સભ્યોએ નારા લગાવ્યા હતા અને અધ્યક્ષના આસન સુધી પહોંચી ગયા હતા. અમુક સભ્યોના હાથમાં પોસ્ટર હતા જેમાં પેગાસસ જાસૂસી બાબતે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ થાય તેની માંગ વિષે લખવામાં આવ્યુ હતું. આ હોબાળા દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે પોતાના મંત્રાલયો સંબંધિત પૂરક પ્રશ્નોના ઉત્તર આપ્યા. ઓમ બિરલાએ નારા બોલાવી રહેલા વિપક્ષના સભ્યોને પોતાના સ્થાન પર જવાની અને કોવિડના નિયમોનું પાલન કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, કોવિડ સંક્રમણ અને રસીકરણ પર વાત ચાલી રહી છે. તમે લોકોએ માસ્ક નથી પહેર્યું. કોરોના હજી સમાપ્ત નથી થયો. તમે લોકો જનતાના પ્રતિનિધિ છો. જો તમે જ આ પ્રકારનું આચરણ કરશો તો લોકોમાં શું સંદેશ જશે.ઓમ બિરલાએ સાંસદોને કહ્યું કે, કોરોનાના નિયમોનું પાલન કરો. તમે માસ્ક નીકાળીને નારા બોલાવી રહ્યા છો. આ યોગ્ય નથી. પોતાની સીટ પર બેસો, તમને ચર્ચા કરવાની તક આપીશ. હોબાળો રોકાયો નહીં તો લગભગ ૧૧.૧૫ વાગ્યે સંસદની કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. કાર્યવાહી ફરીથી શરુ થઈ ત્યારે પણ સ્થિતિ અકબંધ રહી. પીઠાસીન સભાપતિ કિરીટ સોલંકીએ સભ્યોને પોતાના સ્થાન પર જવાનો આગ્રહ કર્યો પરંતુ સભ્યોએ હોબાળો ચાલુ રાખ્યો.
પીઠાસીન સભાપતિએ કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરી દીધી. શનિવાર અને રવિવારના રોજ રજા હોવાને કારણે આગામી કાર્યવાહી સોમવાર, ૨૬ જુલાઈના રોજ થશે.

Previous articleમહારાષ્ટ્રમાં જળ બંબાકાર ૩ સ્થળે ભૂસ્ખલનથી ૪૪થી વધુના મોત
Next articleકોરોનાની ગતિ ધીમી પડીઃ ૨૪ કલાકમાં ૩૫૩૪૨ નવા કેસ, ૪૮૩ના મોત