બારાબંકીમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ૧૮ લોકોનાં મોત

258

લખનઉ-અયોધ્યા હાઇવે પર રોડ કિનારે એક ખરાબ થયેલી ડબલ ડેકર બસને લખનઉ તરફ જઈ રહેલા ટ્રેલરે જોરદાર ટક્કર મારી દીધી
(સં. સ. સે.) બારાબંકી,તા.૨૮
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મોડી રાત્રે એક કંપાવી દેનારો માર્ગ અકસ્માત થયો છે. લખનઉ-અયોધ્યા હાઇવે પર રોડ કિનારે એક ખરાબ થયેલી ડબલ ડેકર બસમાં લખનઉ તરફ જઈ રહેલા ટ્રેલરે જોરદાર ટક્કર મારી દીધી. આ બસમાં સવાર અને તેની નીચે સૂઈ રહેલા લોકો તેને ઝપટમાં આવી ગયા. ટક્કર એટલી જોરદાર હતી કે દુર્ઘટનામાં લગભગ ૧૮ લોકોનાં કરૂણ મોત થયા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સીએચસી પર પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલોને ટ્રોમા સેન્ટર લખનઉ રેફર કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના રામસનેહીઘાટ પોલીસ સ્ટેશનની હદમાં લખનઉ-અયોધ્યા હાઇવે પર કલ્યાણી નદીના પુલ પર થયો. મળતી જાણકારી મુજબ, પુલ પર ખરાબ થઈને ઊભી રહેલી ડબલ ડેકર બસમાં લખનઉ તરફ જઈ રહેલા ટ્રક-ટ્રેલરે જોરદાર ટક્કર મારી દીધી. તેના કારણે બસમાં સવાર અને તેની નીચે સૂઈ રહેલા લોકો ઝપટમાં આવી ગયા. ટક્કર એટલી જોરદાર હતી કે ૧૧ મુસાફરોનાં ઘટનાસ્થળે જ મોત થઇ ગયા. જ્યારે અનેક લોકોને જિલ્લા હૉસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ મોત થયા. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૮ લોકોનાં મોત થયા છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે સ્થાનિક લોકોની મદદથી લાશોને હાઇવેથી હટાવી અને ઘાયલોને હૉસ્પિટલ મોકલ્યા. પ્રાઇવેટ ટ્રાવેલ્સની આ ડબલ ડેકર બસ હરિયાણાથી બિહાર જઈ રહી હતી. ત્યારે કલ્યાણી નદીની પાસે બસ ખરાબ થઈ ગઈ.મળતી જાણકારી મુજબ, એક્સેલ તૂટી જવાના કારણે બસ ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ મુસાફરો બસમાંથી નીચે ઉતરીને નીચે, આગળ અને આસપાસ સૂઈ ગયા. આ દરમિયાન લખનઉ તરફથી આવી રહેલી ટ્રકે બસને જોરદાર ટક્કર મારી. તેના કારણે ઘટનાસ્થળે જ ૧૧ લોકોનાં મોત થઈ ગયા. દુર્ઘટના બાદ ટ્રકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. દુર્ઘટના બાદ હાઇવે પર વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ. તેના કારણે લગભગ અનેક કિલોમીટર સુધી લાંબો જામ થઈ ગયો. દુર્ઘટનાના થોડા સમય બાદ જ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો. બારાબંકી એસપી યમુના પ્રસાદ, એસડીએમ જિતેન્દ્ર કટિયાર અને સીઓ પંકજ સિંહના નેતૃત્વમાં વરસાદની વચ્ચે પોલીસે સ્થાનિકોની મદદથી લાશોને બહાર કાઢી અને ઘાયલોને હૉસ્પિટલ પહોંચાડ્યા.

Previous articleસ્થિતિ સામાન્ય થશે ત્યારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાશે
Next articleકંઇ પણ થઇ જાય ૧૫ ઓગસ્ટના રોજ ઝંડો તો દિલ્હીમાં જ ફરકાવાશેઃ ટિકૈત