ત્રીજી લહેર સામે કેન્દ્ર સરકારે ૧૪૭૪૪ કરોડનું ફંડ રિલીઝ કર્યું

210

દરેક જિલ્લામાં ઓક્સિજન સ્ટોરેજ ટેંક માટે રાજ્યોને ૫૦% રકમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, ઓક્સિજનની ઉણપને ધ્યાને રાખી તૈયારીઓ
નવી દિલ્હી,તા.૧૪
કોવિડ મહામારીની બીજી લહેરના અનુભવ પરથી કેન્દ્રિય આરોગ્ય વિભાગ અત્યારથી જ આગામી મહિનાઓમાં આવી શકનારી કોરોનાની ત્રીજી લહેરને લઈને ચિંતિત છે અને તેની સામે લડવા માટેની તૈયારીમાં લાગી ગયું છે. આ માટે આરોગ્ય મંત્રાલયે રુ ૧૪,૭૪૪ કરોડ અથવા કેન્દ્ર સરકાર તરફથી મહામારી સામે લડવા માટે રાજ્યોને આપવાના ૨૩,૧૨૩ કરોડ રુપિયાના ફંડ પૈકી ૫૦% ફંડ રિલીઝ કરવાની મંજૂરી આપી છે. કોરોન મહામારી સામે લડવા માટે જરુરી ફંડ માટે જુલાઈ માસમાં કેન્દ્ર સરકારે રુ. ૨૩,૧૨૩ કરોડના ઈમરજન્સી રિસ્પોન્સ પેકેજની જાહેરાત કરી હતી. આ ફંડ રજૂ કરતાં મંત્રાલયને આશા છે કે ઓગસ્ટના અંત સુધીમાં તમામ ૧,૭૫૫ પીએસએ ઓક્સિજન ઉત્પન્ન કરનારા પ્લાન્ટ ચાલુ થઈ જશે. જો પીએસયુ દ્વારા સ્થાપવામાં આવતા ઓક્સિજન પ્લાન્ટ્‌સને પણ ધ્યાનમાં લેવામાં આવે તો નજીકના ભવિષ્યમાં આવા કુલ ૨,૨૦૦ પ્લાન્ટ કાર્યરત થશે. હાલમાં, લગભગ ૩૭૫ પ્લાન્ટ સમગ્ર રાજ્યોમાં કાર્યરત કરવામાં આવ્યા છે અને ૫૦૦ એડવાન્સ સ્ટેજમાં છે અને ટૂંક સમયમાં સ્થાપવામાં આવે તેવી શક્યતા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. બીજી લહેર ત્રાટકી ત્યારે સર્જાયેલી ઓક્સિજન અછતની શક્યતાને રોકવા માટે સરકાર ઇમરજન્સી રિસ્પોન્સ પેકેજ હેઠળ જિલ્લા સ્તરે અગ્રતા વિસ્તારો તરીકે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દવાઓનો બફર સ્ટોક અને ઓક્સિજનની ઉપલબ્ધતા પર સરકાર કેન્દ્રિત છે. રિસ્પોન્સ પેકેજની માર્ગદર્શિકા મુજબ મંત્રાલય ઓછામાં ઓછા ૧૦,૦૦૦ કિલો લિટર ઓક્સિજન ટાંકી સાથે સ્ટેન્ડબાય પર જિલ્લા સ્તરની ઓક્સિજન ઉપલબ્ધતાનો લક્ષ્યાંક તૈયાર કરી રહ્યું છે. આ મેડિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમ (એમજીપીએસ) સાથેની ૧,૪૫૦ જેટલી હોસ્પિટલો માટે ૯૬૧ લિક્વિડ મેડિકલ ઓક્સિજન સ્ટોરેજ ટેંક સ્થાપિત કરવાની યોજનાનો પણ એક ભાગ છે, જેનો ઉદ્દેશ જિલ્લા દીઠ ઓછામાં ઓછા એક આવા યુનિટને કાર્યરત રાખવાનો છે. આરોગ્ય મંત્રાલય મે મહિનામાં બીજી લહેર દરમિયાન દેશમાં કોરોના કેસની ટોચને બેંચમાર્ક ગણીને તે પ્રમાણેના માપદંડ અનુસાર તૈયારી કરી રહ્યું છે. અને ડેલ્ટા તેમજ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ્‌સ દ્વારા ઉભા થયેલા પડકારોને પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. ઇન્ડિયા કોવિડ -૧૯ ઇમર્જન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેરેડનેસ પેકેજઃ ફેઝ-આઈઆઈ માટે ૨૩,૧૨૩ કરોડ રુપિયાનું ફંડ ૮મી જુલાઇએ કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. . આ યોજના ૧ જુલાઇથી ૩૧ માર્ચ સુધીના નવ મહિનામાં અમલી બનવાની છે. આ ફંડ પૈકી જુલાઈ મહિનામાં જ રાજ્યોને આ સ્ટોરેજ ટેંક ઊભી કરવા માટે પ્રારંભિક પ્રવૃત્તિઓ હાથ ધરવા રુ. ૧,૮૨૭ કરોડથી થોડો વધારે કેન્દ્રીય ભાગ રીલિઝ કરવામાં આવ્યો હતો. શુક્રવારે, રાજ્યો દ્વારા રજૂ કરવામાં આવેલી યોજનાઓના આધારે આરોગ્ય મંત્રાલયે કુલ ૨૩,૧૨૩ કરોડ રુપિયાના કુલ કેન્દ્રીય હિસ્સાના વધુ ૩૫% રિલીઝ કરવાની મંજૂરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રાલયનો આ ભંડોળ પ્રારંભિક તબક્કે જ રિલીઝ કરવાનો નિર્ણય કરીને રાજ્ય સરકારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે રાજ્યો આ ફંડ સીધુ જ જરુરિયાત મુજબ છેવટના લાભકર્તા સુધી પહોંચાડે અને આરોગ્ય માળખું ઉભું કરવાની યોજનાને આગળ વધારે. ઉપરાંત કેન્દ્ર સરકારનું આ પગલું તેને લઈને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે બીજી લહેર દરમિયાન ઓક્સિજનની ઉપલબ્ધતા અને પુરવઠાને લઈને જે પ્રકારે એકબીજા સામસામે દોષારોપણ કરવાના દવા કરવામાં આવ્યા હતા તેને રોકવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવે છે.

Previous articleજમ્મૂ પોલીસે જૈશના ૪ આતંકીઓની ધરપકડ કરી
Next articleમહારાષ્ટ્રમાં પ્રવેશ માટે રસીના બંન્ને ડોઝ અથવા આરટી-પીસીઆર નેગેટિવ જરુરી