શાસક પક્ષે ભાજપે ભજવી વિપક્ષની ભૂમિકા, પ્રમુખે સ્વીકાર્યું કે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે

132

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતો ને ફાયદો આપી રહ્યા છે તો અધિકારીઓ શા માટે આડા હાથ રાખી રહ્યા છે
ભાવનગર જિલ્લા પંચાયત કચેરીના સભા હોલ ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. આ સભા જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો ના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. ત્યારે આ સભામાં ભાવનગર જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા ખેતી મુદ્દે ખાસ ભાવનગર જિલ્લાના ખેડૂતોને જમરૂખ અને લીંબુ સહિતના પાકને વાવાઝોડાથી થયેલી નુકશાની અંગે સહાય ન મળ્યા હોવાનું અધિકારીને પૂછવામાં આવ્યું હતું. જે મુદ્દે અધિકારી દ્વારા યોગ્ય રીતે જવાબ આપ્યો નહીં અને અધિકારીના જવાબ બાદ માત્ર જિલ્લા પંચાયતના સભ્યો જ નહીં પરંતુ જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ પણ રોષે ભરાયા હતા. અને અધિકારીઓને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ ઝડપથી દૂર કરવામાં આવે તેવી કડક સૂચના આપી હતી.આ સાથે જ ભાવનગર જિલ્લા પંચાયત વિસ્તારમાં રોડના કામો માં ભ્રષ્ટાચાર થતો હોવાનું વિરોધ પક્ષના નેતા પદુભા ગોહિલ દ્વારા આક્ષેપ કરાયો હતો. જેને લઇને અધિકારીને તટસ્થ રીતે તપાસ કરવા જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે ગત ટ્રમમાં સદસ્યોને મોબાઈલ અને લેપટોપ ફાળવવામાં આવ્યા હતા. તો આ વર્ષે પણ આ લેપટોપ ફાળવાશે કેમ તેવો પ્રશ્ન પૂછવામાં આવતા જે અંગે અધિકારી દ્વારા જણાવ્યું હતું કે આગામી બજેટમાં જોગવાઈ થયા બાદ આ નિર્ણય પર વિચારણા કરવામાં આવશે. સાથે જ અધિકારી દ્વારા જણાવ્યું હતું કે પૂર્વ સદસ્યો માંથી હજુ કેટલાક સદસ્યો દ્વારા મોબાઈલ અને લેપટોપ જમા કરાવ્યા નથી. જે અંગે પૂર્વ સદસ્યો ને નોટિસ ફટકારવામાં આવી છે. તેમ છતાં જો મોબાઇલ – લેપટોપ પરત નહીં આપે તો સરકારની ગાઇડ અનુસાર પગલા લેવામાં આવશે.જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સભામાં રોડ, આરોગ્ય, ખેતી, અને જિલ્લા પંચાયતના સદસ્યો ને મોબાઈલ અને લેપટોપ ફાળવવા સહિતના મુદ્દાઓ આ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં ખાસ મુદ્દો ખેતીનો અગ્રેસર રહ્યો હતો. અને ખુદ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા ભાવનગર જિલ્લામાં ખેડૂતોને વાવાઝોડા બાદ સહાય મળવા અંગે મુશ્કેલી પડી હોવાને લઈને અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો.એક તરફ જિલ્લા પંચાયતની વર્તમાન સત્તા ભારતીય જનતા પાર્ટી પાસે છે ત્યારે આ સાધારણ સભામાં જે પ્રકારે જિલ્લા પંચાયતના સદસ્યો અને કુદરત જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા અધિકારીઓને જે પ્રકારે પ્રશ્નો અંગે કડક સુચના આપવામાં આવ્યા છે. તે મુજબ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના સત્તા પક્ષ દ્વારા જ વિરોધ પક્ષ જેવી ભૂમિકા ભજવી અને લોકોના કાર્યો અંગે અવાજ ઉઠાવ્યો હતો.

Previous articleગૌતમેશ્વર તળાવમાં પગ લપસતાં યુવતી ડૂબી, બચાવવા કૂદેલો યુવક પણ ડૂબ્યો, યુવતીનો મૃતદેહ મળ્યો
Next articleશહેરના કરચલીયાપરા-અગરીયાવાડ વિસ્તાર માંથી ૫૨,૦૦ લીટર બાયો-ડીઝલનો જથ્થો ઝપ્ત