નારી ચોકડીથી પીપળી સુધીના બિસ્માર રોડના સમારકામનું મુહૂર્ત આવતું નથી

116

રાત-દિવસ ધમધમતા ત્રાપજ સુધીના ખખડધજ રોડના કારણે છાશવારે અકસ્માત
ભાવનગરમાં યાતાયાત માટે સતત ધમધમતા એવા નારી ચોકડીથી પીપળી સુધીના અને ભાવનગરથી ત્રાપજ સુધીના બિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે. જ્યારે જવાબદાર તંત્રને વારંવારની રજૂઆત છતાં નિંભર તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી નહીં થતા વ્યાપક રોષની લાગણી જન્મી છે. ભાવનગર-સનેસ-અધેલાઇ-બાવળીયારી-ધોલેરા-પીપળી રોડ ખુબ જ બિસ્માર હાલતમાં હતો અને તાજેતરમાં પડેલ ભારે વરસાદનાં કારણે રોડ વધુ ધોવાણ થઇ ગયેલ છે આથી આ રોડની સત્વરે મરામત થાય તે અંગે ડાયરેક્ટર નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા-અમદાવાદને પત્ર પાઠવવામાં આવેલ છે. આ અગાઉ પણ આ બાબતમાં લેખિત રજૂઆતો કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી આ અંગે કોઈ કાર્યવાહી થયેલ નથી. આ રોડની અતિ બિસ્માર હાલતના કારણે આ રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ખુબ જ હાલાકી ભોગવવી પડે છે અને વારંવાર અકસ્માતો પણ થાય છે. આ ઉપરાંત નારી ચોકડી (ભાવનગર) થી અધેલાઇ સુધીના રોડ ઉપર વચ્ચે ઓવરબ્રિજની કામગીરી શરૂ હોવાથી જે બાયપાસ રોડ કરવામાં આવેલ છે તે પણ અત્યંત બિસ્માર હાલતમાં છે. વધુમાં આ રોડ ઉપર ખુબ જ ટ્રાફિક રહેતો હોય છે તેથી આ બાયપાસ રોડ પણ પેવર કરવાની સખ્ત જરૂરીયાત છે. તેજ રીતે ભાવનગરથી ત્રાપજ સુધીનો રોડ ખુબ જ બિસ્માર હાલતમાં છે. અલંગ શીપબ્રેકીંગ યાર્ડના કારણે આ રોડ ઉપર ખુબ જ ટ્રાફિક રહે છે તેથી વાહનચાલકો અને રાહદારીઓને ખુબ જ હાલાકી ભોગવવી પડે છે. આ અંગે ચેમ્બર પ્રમુખે જીલ્લા કલેકટર અને નેશનલ હાઈવે ઓથોરીટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર તેમજ માર્ગ અને મકાન વિભાગ-ભાવનગરનાં કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી ત્વરિત ઘટતી કાર્યવાહી કરવા અનુરોધ કરેલ છે.

Previous articleસર ટી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર વિભાગના રૂમમાં છત માંથી ગાબડું પડ્યું
Next articleભાવનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન સ્નેહનું સંભારણું કાર્યક્રમ યોજાયો