પેગાસસ જાસૂસી મામલે નિષ્ણાતોની સમિતિ રચાશે

101

પેગાસસ જાસૂસી મામલે કેન્દ્રને સુપ્રીમનો ફટકો : કેટલાક નિષ્ણાતોએ વ્યક્તિગત કારણોસર સમિતિનો ભાગ બનવામાં અસમર્થતા વ્યક્ત કરતા આદેશ પર વિલંબ થયો
નવી દિલ્હી,તા.૨૩
સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી કૌભાંડની તપાસ માટે નિષ્ણાતોની સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમનાએ ઓપન કોર્ટમાં આ અંગે જણાવ્યું હતું કે આ સંદર્ભમાં આગામી સપ્તાહે આદેશ આપી શકાય છે. સીજેઆઈ રમનાએ જણાવ્યું હતું કે કેટલાક નિષ્ણાતોએ વ્યક્તિગત કારણોસર સમિતિનો ભાગ બનવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી, જેના કારણે આદેશ પસાર કરવામાં વિલંબ થયો હતો. સુપ્રીમ કોર્ટે ૧૩ સપ્ટેમ્બરે આ મામલે પોતાનો વચગાળાનો આદેશ અનામત રાખ્યો હતો. ૧૦ દિવસ પહેલા સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તે સોગંદનામું દાખલ કરવા માંગતી નથી. કેન્દ્ર વતી કહેવામાં આવ્યું હતું કે તે રાષ્ટ્રીય સુરક્ષા અને આ મામલે વ્યાપક જાહેર હિતને ધ્યાનમાં રાખીને સોગંદનામું દાખલ કરવા માંગતી નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત છે અને સોગંદનામા દ્વારા આ બાબતોની વિગતવાર ચર્ચા કરી શકાતી નથી. આ મામલો ન્યાયિક ચર્ચામાં ન આવવો જોઈએ. તેને જાહેર ચર્ચામાં ન લાવવો જોઈએ કારણ કે આ મામલો મોટા જાહેર હિત અને રાષ્ટ્રીય સુરક્ષાનો છે. અમે બાબતને સનસનાટીભરી બનાવવા માંગતા નથી. ગત સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે અમે માત્ર એટલું જ જાણવા માંગીએ છીએ કે તમે જણાવો કે મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું નથી અથવા તે સંબંધિત એજન્સીની પરવાનગીથી કરવામાં આવ્યું છે અથવા કોઈ વિદેશી એજન્સીએ આવું કર્યું છે? જો એમ હોય તો તે દરેક માટે મુશ્કેલીનો વિષય છે. અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે, શું સરકારે કાયદાની બહાર કોઈ પ્રક્રિયાનો ઉપયોગ કર્યો છે કે નહીં?

Previous articleતાલિબાન મુદ્દે ચીનનો પ્રસ્તાવ તમામ દેશોએ ફગાવી દીધો
Next articleભાવનગર શહેરના મોટાભાગના રોડ-રસ્તાઓમાં મસમોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન