વધારે ઝડપથી ફેલાતો ઓમિક્રોન વધુ ઘાતક નથી : ICMR

101

આઈસીએમઆરના વૈજ્ઞાનિકોનો રાહત આપતો દાવો : લોકોએ આ વાયરસના બદલાયેલા સ્વરૂપથી કારણ વગર ડરવાની જરૂર નથી પરંતુ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી હોવાની વૈજ્ઞાનિકોની સલાહ
નવી દિલ્હી, તા.૪
દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કેટલાક કેસ સામે આવ્યા છે. આવતા કેટલાક દિવસોમાં આ કેસોની સંખ્યામાં વધારો થઈ શકે છે. વાયરસનું આ બદલાયેલું સ્વરૂપ મહત્તમ લોકોને ન માત્ર સંક્રમિત કરે છે પણ તેમના પર પોતાની અસર પણ છોડે છે. આઈસીએમઆરના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, વાયરસના આ બદલાયેલા સ્વરૂપની આક્રમકતા જ તેની સૌથી મોટી કમજોરી છે. આઈસીએમઆરના ચીફ એપિડમોલોજિસ્ટ ડોક્ટર સમીરન પાંડાએ જણાવ્યું કે, જે વાયરસ વધારે પ્રમાણમાં ફેલાય છે તે વધારે ઘાતક ન હોઈ શકે. આના માત્ર પુરાવા નથી પરંતુ વૈજ્ઞાનિક તથ્યો પર પણ આ વાત કહેવામાં આવી રહી છે. આ કારણે લોકોએ આ વાયરસના બદલાયેલા સ્વરૂપથી કારણ વગર ડરવાની જરૂર નથી પરંતુ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના મુખ્ય મહામારી વિશેષજ્ઞના મતે ઓમિક્રોન વેરિએન્ટથી લઈને ડેલ્ટા અને બીજા વેરિએન્ટમાં અત્યાર સુધીના અધ્યયન દરમિયાન એ જાણવા મળ્યું છે કે, જેટલા બદલાયેલા સ્વરૂપમાં મહત્તમ પ્રમાણમાં ફેલાવાની આક્રમકતા હતી તેની લોકો ઉપર અસર ઓછી જોવા મળી છે. ડોક્ટર સમીરન પાંડાએ તેનુ કારણ બતાવતા જણાવ્યું કે, બદલાયેલા સ્વરૂપમાં લક્ષણો હળવા હોય છે અને જેમાં સંક્રામક સંખ્યા વધારે હોય છે તે પોતાની અસર વધારે દેખાડી શકતું નથી. ઉદાહરણ આપતા ડોક્ટર સમીરન પાંડાએ જણાવ્યું કે, જો વાયરસ વધારે ઘાતક હોય અને પોતાના હોસ્ટને (સંક્રમિત વ્યક્તિને) મારી નાખતો હોય તો એવામાં મૃત વ્યક્તિથી સંક્રમણ ફેલાવાનું જોખમ નગણ્ય થઈ જાય છે. આવી સ્થિતિમાં સંક્રમણનું સ્તર એટલી ઝડપથી નથી ફેલાતું જેટલી ઝડપથી શરૂઆતમાં ઓમિક્રોન સ્વરૂપના કેસો સામે આવ્યા છે. ડોક્ટર સમીરન પાંડાએ દાવો કર્યો હતો કે, ભારતમાં જેટલા કેસ સામે આવ્યા છે એ બધાનો સામનો કરવા માટે વધારે પ્રમાણમાં વેક્સિનેશન અને કોવિડથી બચવા માટે તૈયાર કરવામાં આવેલી ગાઈડલાઈન જ સૌથી મોટું કવચ છે. તેમણે જણાવ્યું કે આ વેરિએન્ટ એજ પ્રકારે ફેલાય છે જે રીતે આગળનો વેરિએન્ટ ફેલાતો હતો. તેથી આગળના વેરિએન્ટથી બચવા માટેના જે ઉપાયો અને નિયમો હતા તે જ આમાં પણ લાગુ પડશે. તેથી ડરવાનું છોડીને મહામારીથી બચવા માટે જણાવવામાં આવેલા ઉપાયોનું પાલન કરો.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleજામનગરમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો