ભાવનગરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સાધન સહાય અને લાભ સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

99

૧૧૦ લાભાર્થીઓને આશરે રૂ. ૬૭ લાખના લાભોનું વિતરણ : રાજ્ય સરકારે સુશાસન દ્વારા છેવાડાના માનવીની વ્યથા- પીડાને વાચા આપી છે- સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી. મકવાણા
રાજ્ય સરકાર દ્રારા તા.૨૫ ડિસેમ્બર થી એક સપ્તાહ સુધી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અન્વયે આજે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્રારા ભાવનગર જિલ્લાનો કાર્યક્રમ પાનવાડી ખાતે આવેલ આંબેડકર હોલ ખાતે યોજાયો હતો. આજે યોજાયેલા કાર્યક્રમમાં ૧૧૦ લાભાર્થીઓને વિદેશ સહાય, આંતરજ્ઞાતિય લગ્ન સહાય, કુંવરબાઈનું મામેરુ, આંબેડકર સફાઇ કામદાર મકાન સહાય, દિવ્યાંગ લગ્ન સહાય વગેરે વિવિધ યોજનાઓ અંતર્ગત આશરે રૂ.૬૭ લાખના લાભોનું હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી. મકવાણાએ આ અવસરે જણાવ્યું કે, રાજ્ય સરકારે સુશાસન થકી છેવાડાના માનવીની વ્યથા-પીડાને વાચા આપી છે. સમાજના છેવાડે રહેલાં વ્યક્તિને સરકારી યોજનાઓ કાગળ પર નહીં પરંતુ વાસ્તવમાં સાકાર બની તેમના ઘરે દસ્તક આપે તે સાચું સુશાસન છે. રાજ્ય સરકારે સંવેદનશીલ નેતૃત્વ દ્વારા સમાજનો કોઈ પણ વ્યક્તિ પછાત ન રહે, નબળો ન રહે, તે રીતે વિકાસ કર્યો છે અને તે દ્વારા છેવાડાના માનવીનું કલ્યાણ કર્યું છે. સરકારી યોજના સહાય મેળવવા માટે આપવા પડતાં દસ્તાવેજોમાં પણ મહત્વપૂર્ણ ઘટાડો કરી સમાજના છેવાડાના અંતિમ લોકોની અગવડોમાં ઘટાડો થાય તે માટેનો પૂરતો પ્રયાસ રાજ્ય સરકારે કર્યો છે. તેમણે સંવેદનશીલ બની અન્યોને પણ મદદરૂપ થવા અપીલ કરતા કહ્યું કે, સમાજમાં સામાજિક- આર્થિક જે ભેદ છે તેને આપણે દૂર કરવો છે અને માણસ – માણસ વચ્ચેની ભેદરેખા દૂર કરી સર્વોત્કૃષ્ટ સમાજ નિર્માણ થાય તે દિશામાં આગળ વધવું છે અને તે દ્વારા સમાજમાં સામાજિક સમરસતાનું નિર્માણ કરવું છે.

રાજ્ય વકફ બોર્ડના ચેરમેન સજ્જાદ હીરાએ જણાવ્યું કે, રાજ્યમાં સુશાસનની અવિરત યાત્રા ચાલી રહી છે. લોકોના સુખે- સુખી અને દુઃખે- દુઃખીની સંવેદના અનુભવે તે સાચું શાસન છે. વર્તમાન રાજ્ય સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં માં ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જવાનો યજ્ઞ આદર્યો છે. તેના ભાગરૂપે જ આજે છેલ્લાં એક અઠવાડિયાથી રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. પૂર્વ મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, વિકાસની લાઈનમાં છેવાડાના માનવી સુધી સીધી-સીધી સહાય મળે તેઓ ધ્યેય રાજ્ય સરકારનો રહ્યો છે.૨૫ ડિસેમ્બરને વિશ્વ આખું નાતાલ તરીકે ઉજવે છે ત્યારે આપણે તેને આપણે આપણાં પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં તેને સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. સામાન્ય માનવીને સુશાસનની અનુભૂતિ કરાવી અને વચેટિયા રાજને નાબૂદ કરવું તે દિશામાં આગળ વધીને રાજ્ય સરકાર દ્વારા જે લોકો પાસે નાણાકીય સગવડ ના હોય તેવા લોકોને પણ મદદરૂપ બની સમાજની મુખ્ય ધારામાં લાવવાં માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.રાજ્ય સરકાર ખૂબ સંવેદનશીલતાથી કાર્ય કરી રહી છે અને રાજ્યની સામાન્ય જનતાને કઈ રીતે વધુમાં વધુ ઉપયોગી થઇ શકાય તે દિશામાં પગલાં લઈને સર્વતોમુખી પગલાં લઈ રહી છે. તેમણે સ્વચ્છતા અને જીવનનો ભાગ બનાવી શહેરમાં સ્વચ્છતા જાળવવા સાથે સ્વસ્થતા કેળવી તંદુરસ્ત સમાજ નિર્માણમાં જોડાવા માટેની હાકલ કરી હતી. મેયર કીર્તિબાળા દાણીધારીયાએ જણાવ્યું કે, છેવાડાના માનવી એવાં અંત્યોદયનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સમાજમાં હજુ પણ પૂરતી જાગૃતિના અભાવે ઘણાં બધાં લાભાર્થીઓને પોતાને કઈ રીતે સહાય મળે તેની જાણકારી હોતી નથી. તેથી તે વિષેની જાણકારી આવા લોકો સુધી પહોંચે અને તેમને લાભ આપી શકાય તે દિશાના પ્રયત્નો કરવાં જોઈએ તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. તેમણે તાજેતરમાં રાજ્ય સરકારે સોગંદનામાના બદલે સ્વ- ઘોષણાપત્ર રજૂ કરવાનું ઠરાવ્યું છે.તેનાથી વિવિધ કામો માટે કરવાં પડતાં સોગંદનામામાં ૫૦ ટકા સુધીનોનો ઘટાડો થઈ જશે. તેમણે કોરોનાકાળમાં માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સીગનો ઉપયોગ કરી બિનજરૂરી ભીડભાડવાળી જગ્યાએ ન જવાં ભાવનગર શહેરની જનતાને અનુરોધ કર્યો હતો. આ અવસરે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની કામગીરીની દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી.
આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વૈશાલીબેન જોશી, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleપહેલાં સમસ્યાથી છૂટકારાનો પ્રયાસ થતો હતો : મોદી
Next articleભાવનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આમરણાંત ઉપવાસના સાતમાં દિવસે બાળાઓના હસ્તે જ્યુસ પી પારણાં કર્યા