FPI દ્વારા એપ્રિલ મહિનામાં કુલ ૧૧૦૯૬ કરોડનું રોકાણ

533

વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૧૧૦૯૬ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વૈશ્વિક અને સ્થાનિક પરિબળો મજબૂત હોવાના કારણે વિદેશી રોકાણકારો આશાવાદી બનેલા છે. અગાઉના બે મહિનામાં રોકાણકારો મોટાપાયે ખરીદી કરી ચુક્યા છે. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવી ચુક્યા છે. તે પહેલા એફપીઆઈએ જાન્યુઆરી મહિનામાં મૂડી માર્કેટમાંથી ૫૩૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. ડિપોઝિટરીના આંકડા મુજબ એફપીઆઈએ પહેલીથી ૧૨મી એપ્રિલના ગાળા દરમિયાન ડેબ્ટ સેગ્મેન્ટમાંથી ૨૨૧૨.૦૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જ્યારે ઇક્વિટીમાં ૧૩૩૮.૭૮ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આની સાથે જ કુલ રોકાણનો આંકડો ૧૧૦૯૬.૭૦ કરોડ રૂપિયા રહ્યો છે. ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં રોકાણકારોએ ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.

નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા. અમેરિકી ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરવામાં આવ્યા બાદ તેના કારણે પણ એફપીઆઈ ભારત તરફ આકર્ષિત થઈ રહ્યું છે. ક્રુડ ઓઈલની કિંમતો સ્થિર રહી છે. જેની અસર પણ વિદેશી મૂડીરોકાણકારોના મૂડી પ્રવાહ ઉપર થઈ છે. આ વર્ષની ધીમિ ગતીએ શરૂઆત થયા બાદથી એફપીઆઈમાં ભારતીય ઈક્વિટી માર્કેટમાં આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ બજારમાં તેજી રહી શકે છે. જાન્યુઆરી મહિનામાં યુએસ ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. તેમના અર્થતંત્ર માટે ચીન અને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક દ્વારા સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. દેશના માઈક્રો આઉટલુકમાં સ્થિતિ સુધરી રહી છે. સ્થિર સરકાર ચુંટણી બાદ રચાય તેવી આશા પણ દેખાઈ રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ભારતમાં લોકસભા માટેની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ જુદા જુદા સર્વેમાં એનડીએની વાપસીના સંકેત મળી રહ્યા છે ત્યારે એફપીઆઈ રોકાણકારો દેશમાં રોકાણ કરવા વધારે આશાવાદી દેખાઈ રહ્યા છે.

Previous articleવડોદરામાં ભારત-દ.આફ્રિકાની વિમેન્સ ટીમ વચ્ચે ૩ ડે નાઇટ વન ડે મેચ રમાશે
Next articleશેરબજારમાં ૮ પરિબળોની સીધી અસર હશે : કારોબારી આશાવાદી