રાજ્યમાં હોળી દહનને છૂટ, રંગોત્સવ પર પ્રતિબંધઃ પટેલ

257

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૨૧
રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. ત્યારે કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા ફરીથી અલગ-અલગ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, હોળી ધાર્મિક રીતે પ્રગટાવી શકાય છે પરંતુ તેના બીજા દિવસે કલરથી રમી શકાશે નહીં અને લોકોને એકઠા કરી શકાશે નહીં. કરફ્યૂ વિશે નાયબ મુખ્યમંત્રી બોલ્યા કે, જરૂર છે ત્યાં રાત્રિ કરફ્યૂ મૂક્યો છે, કેટલાક બજારો શનિ રવિમાં બંધ રાખ્યા છે. ખરીદી માટે લોકો માર્કેટમાં શનિ રવિમાં આવતા જતા હોય છે, તેથી મોલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વેપાર ધંધા કે નાના માણસની રોજગારી પર અસર ના થાય તેનું ધ્યાન રાખી રહ્યા છીએ. હાલ ૪ થી ૫ પ્રકારના કોરોનાના નવા સ્ટ્રેઈનના કેટલાક શહેરના દર્દીઓ જોવા મળ્યાં છે. સદનસીબે યુકે સ્ટ્રેઈન જે ખૂબ સંક્રમણ ફેલાવે છે તેની જે ચિંતા હતી, એવી ચિંતાજનક કોઈ સ્ટ્રેઈન માલુમ પડ્યું નથી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હોળી અને ધૂળેટીના તહેવારમાં ધાર્મિક રીતે હોળી પ્રગટાવવાની આપણે મંજૂરી આપીશું પરંતુ એકબીજા પર કલર છાંટવા, એકબીજાને રંગવા, ટોળાં એકઠા કરવા અને દોડી દોડીને એકબીજાને રંગવા માટે ભીડ એકત્ર કરવી, આ પ્રકારની કોઇ પણ મંજૂરી આપવાની નથી. ફક્ત ધાર્મિક રીતે હોળી દહન માટે મર્યાદિત લોકોને એકત્ર થાય તે માટે મંજૂરી આપવામાં આવી છે. ગામડાઓમાં શહેરોમાં મહોલ્લાઓમાં શેરીઓમાં અને ગલીઓમાં ધાર્મિક રીતે અને ધાર્મિક વિધિ અનુસાર હોળી પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ કોઈને રમવાની મંજૂરી આપવામાં આવી નથી.

Previous articleઅચંતા શરથ કમલ અને મનિકા બત્રાની જોડીએ જીતીને મિક્સ ડબલ્સમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું
Next articleકોરોના બેકાબૂઃ દેશમાં એક્ટિવ કેસ ૩ લાખને પાર