ભાવનગરમાં રોડ રસ્તાઓ તૂટીને બિસ્માર બનતા કોંગ્રેસ દ્વારા મસમોટા ખાડોઓનું પૂજન કરી ઉગ્ર વિરોધ કર્યો

349

ખાડાનું અબીલ, ગુલાલ, કંકુ અને ફુલહારથી પૂજન પણ કર્યું : વિરોધ પ્રદર્શનને લઇને પોલીસે ૩૦ કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી
ભાવનગર શહેરમાં ચોમાસાની સિઝન બાદ મોટાભાગના રોડ-રસ્તાઓ તૂટીને બિસ્માર બન્યા છે. કેટલાક રસ્તાઓ તો માત્ર ૬ માસ પહેલા બનાવવામાં આવ્યાં હતા, પરંતુ આવા તમામ રોડ પર ડામર કે રસિક રોડનું નામોનિશાન નથી રહ્યું. રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા રસ્તોઓ પર પડેલા મસમોટા ખાડોઓનું પૂજન કરી તંત્રની પોલ ખોલી હતી.
શહેરમાં રોડ રસ્તાઓ બિસ્માર બનતા વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે અંગે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને ભાવનગર શહેરના ગૌરવ પથ ગણાતા મુખ્ય રોડ એટલે કે દેસાઈનગર ખાતે કોંગ્રેસ દ્વારા નવતર કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રોડ પર બનેલા મસમોટા ખાડાઓને મેજર ટેપ થીમ આપવામાં આવ્યાં હતા. સાથે જ ખાડાનું પૂજન પણ અબીલ, ગુલાલ, કંકુ અને ફુલહાર સાથે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રોડ પર બનેલા ખાડાઓમાં વૃક્ષો વાવવામાં આવ્યાં હતા. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરમાં રોડ પર પડેલા ખાડાઓને લઈને મા મહાનગરપાલિકાના સત્તા સ્થાને બેઠેલા ભાજપના શાસકો વિરુદ્ધ આક્ષેપો કરતા કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત કરી અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા રોડ રસ્તા પર પડેલા ખાડાઓને લઈને કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઇને ભાવનગર શહેરના લોકો દ્વારા ભરેલા ટેક્સના પૈસે બનેલા રોડ બિસ્માર હાલત બન્યા છે. જેને લઇને ભાવનગરના લોકોને સૌથી મોંઘો ટેક્સ ચૂકવણી કરવા છતાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દેસાઈ નગર ખાતે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનને લઇને ડી ડિવિઝન પોલીસ મથક દ્વારા ૩૦ જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલીયા તેમજ સ્થાનિક નગરસેવકો, કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Previous articleવિજય માટે એક જ સત્યાગ્રહી કાફી છે : કોંગ્રેસ નેતા રાહુલ
Next articleગોહિલવાડના પ્રસિદ્ધ શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે નવરાત્રી ઉજવાશે