સુપ્રિમમાં કેન્દ્ર ઝૂકીઃ નીટની પરીક્ષા જૂની પેટર્ન પર લેવાશે

540

આ વર્ષે પરીક્ષાની પેટર્નમાં કોઇ ફેરફાર કરવામાં નહિ આવે : નવી પેટર્ન આગામી સત્ર ૨૦૨૨-૨૩થી લાગુ કરાશેઃ કેન્દ્ર સરકાર
ન્યુ દિલ્હી,તા.૬
સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે આ વર્ષે નીટ સુપર સ્પેશિયાલિટી ડીએમની પેટર્નમાં કોઈ ફેરફાર થશે નહીં. આ પરીક્ષા માત્ર જૂની પેટર્ન પર લેવામાં આવશે. કેન્દ્ર અને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું કે આ વર્ષે નીટ સુપર સ્પેશિયાલિટી પરીક્ષા જૂની પેટર્ન મુજબ લેવામાં આવશે. નવી પેટર્ન આવતા વર્ષથી લાગુ થશે. સુપ્રીમ કોર્ટના ઠપકા પછી કેન્દ્ર સરકારે જૂની પેટર્ન પર જ નીટ-પીજી સુપર સ્પેશિયાલિટી પરીક્ષા ૨૦૨૧ લેવાનું કહ્યું છે. કેન્દ્રએ કોર્ટને કહ્યું કે આ પરીક્ષા જૂની પ્રશ્ન પેટર્ન મુજબ લેવામાં આવશે. નવી પેટર્ન આગામી સત્ર ૨૦૨૨-૨૦૨૩ થી લાગુ થશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના પ્રસ્તાવ પર સંતોષ વ્યક્ત કર્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ સુપર સ્પેશિયાલિટી-૨૦૨૧ ની પેટર્નમાં કરેલા “છેલ્લી ઘડીના ફેરફારો” પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે તેનો હેતુ ખાલી પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ બેઠકો ભરવાનો છે. સુપ્રીમ કોર્ટે પરીક્ષાને બે મહિના સુધી મુલતવી રાખવાની કેન્દ્ર સરકારની નવી દરખાસ્તને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને પુનર્વિચાર કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કાં તો સરકારે જાતે જ જૂની પેટર્ન પર પરીક્ષા લેવી જોઈએ નહીંતર કાયદાના હાથ લાંબા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અંતિમ ક્ષણે પરીક્ષાની પેટર્નમાં ફેરફાર તાર્કિક હોવો જોઈએ. સરકારનું આ પગલું મેસેજ આપી રહ્યું છે કે મેડિકલ વ્યવસાય એક ધંધો બની ગયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે છેલ્લી ઘડીએ પેટર્ન બદલવાની શું જરૂર છે. સરકાર નવી પેટર્ન લાવી શકે છે, તે તેના કાર્યક્ષેત્રમાં છે, પરંતુ તેનો અમલ આવતા વર્ષે થવો જોઈએ. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે તમારે તેમને થોડો સમય આપવાની જરૂર છે. ફેરફારો કરવા માટે કેટલી ઉતાવળ છે. સરકારે વિદ્યાર્થીઓ માટે થોડી ચિંતા કરવી જોઈએ, આ વિદ્યાર્થીઓએ આટલા લાંબા સમયથી તૈયારી કરી છે. જે દિવસથી તે એમબીબીએસમાં જોડાય છે, ત્યારથી તે સુપર સ્પેશિયાલિટીમાં પ્રવેશવાનું લક્ષ્ય ધરાવે છે. તેઓ સતત અભ્યાસ કરે છે અને પ્રતિબદ્ધ છે. હવે તમે કહી રહ્યા છો કે પરીક્ષા વધુ બે મહિના માટે મુલતવી રાખવી જોઈએ. જ્યારે આ વિદ્યાર્થીઓ આટલા લાંબા સમયથી તૈયારી કરી રહ્યા છે ત્યારે વધુ બે મહિના કેમ વેડફવા દો. સમગ્ર મામલો શું હતો? કેન્દ્રએ જાન્યુઆરી ૨૦૨૨ સુધી પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. નીટ એસએસ પરીક્ષા પેટર્નમાં અંતિમ સમયમાં કરવામાં આવેલા ફેરફાર સામે ૪૧ પીજી વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. આની પર સુનાવણી દરમિયાન કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, તેઓ નવી પરીક્ષા પેટર્નને લાગુ કરીને ૧૦-૧૧ જાન્યુઆરી, ૨૦૨૨ના દિવસે પરીક્ષા યોજવા માગતા. જોકે, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પરીક્ષાના કેટલાક સમય પહેલા પેટર્નમાં ફેરફાર કરવા માટે ફટકાર લગાવતા પોતાના નિર્ણયને રદ કરવા માટે કહ્યું હતું. આપને જણાવી દઈએ કે, આ પરીક્ષા ૧૩ અને ૧૪ નવેમ્બર ૨૦૨૧ યોજાવાની હતી.

Previous articleસબસીડી વીનાના ગેસ સિલિન્ડરના ભાવ ૧૫ રૂપિયાનો વધારા કરાયો
Next articleવડાપ્રધાને સ્વામિત્વ યોજનાને ગણાવી વિકાસ અને વિશ્વાસનો નવો મંત્ર