પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા ઈમરજન્સી સ્ટોકને બજારમાં મૂકાશે

81

એક્સાઈઝ ઘટવા છતાં પેટ્રોલ ૧૦૦ રુપિયાને પાર : મુખ્ય અર્થવ્યવસ્થાની સાથે તાલમેલ બેસાડી ઇમરજન્સી સ્ટોકમાંથી ૫૦ લાખ બેરલ તેલ કાઢવાની કેન્દ્રની યોજના
નવી દિલ્હી , તા.૨૩
એક્સાઇઝ ડ્યૂટી ઓછી થવા છતાં દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરથી વધુ છે. તો ઘણા મોટા શહેરોમાં ડીઝલે પણ આ સ્તરને પાર કરી લીધું છે. હવે તેલની કિંમતોને કંટ્રોલ કરવા માટે કેન્દ્ર સરકાર એક નવા પ્લાન પર કામ કરી રહી છે. ન્યૂઝ એજન્સીના પ્રમાણે ભારત કાચા તેલની કિમતોમાં ઘટાડો કરવા માટે અન્ય મુખ્ય અર્થવ્યવસ્થાઓની સાથે તાલમેલ બેસાડી પોતાના રણનીતિક તેલ ભંડાર (ઇમરજન્સી સ્ટોક) માંથી ૫૦ લાખ બેરલ તેલ કાઢવાની યોજના બનાવી રહ્યું છે. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું કે ઇમરજન્સી સ્ટોકમાંથી કાઢવામાં આવતા આ કાચા તેલને મંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (એમઆરપીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) ને વેચવામાં આવશે. આ બંને સરકારી તેલ શુદ્ધિકરણ એકમો પાઇપલાઇન દ્વારા વ્યૂહાત્મક તેલ ભંડાર સાથે જોડાયેલા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે અધિકારીએ કહ્યું કે, આ વિશે ઔપચારિક જાહેરાત જલદી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, સાત-દસ દિવસમાં તેલ કાઢવાની આ પ્રક્રિયા શરૂ થઈ જશે. જરૂર પડવા પર ભારત પોતાના ઇમજરન્સી સ્ટોકમાંથી વધુ કાચુ તેલ કાઢવાનો નિર્ણય કરી શકે છે. ભારતે કાચા તેલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ભારે તેજી વચ્ચે આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે વ્યૂહાત્મક તેલ ભંડાર ભારતના પશ્ચિમી અને પૂર્વી બંને કિનારા પર સ્થિત છે. તેમની સંયુક્ત સંગ્રહ ક્ષમતા લગભગ ૩૮ મિલિયન બેરલ છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. પેટ્રોલ પર ૫ રૂપિયા અને ડીઝલ પર ૧૦ રૂપિયાની રાહત આપવામાં આવી છે. આ પછી દેશના મોટાભાગના રાજ્યોએ વેટમાં ઘટાડો કરીને ગ્રાહકોને મામૂલી રાહત આપી છે. જો કે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને ગ્રાહકો હજુ પણ પરેશાન છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૫૭૯ નવા કેસ નોંધાયા