દાદાસાહેબ જિનાલય ખાતે સાંજે મહાપૂજા યોજાશે
ભાવનગર સંઘના ઉપધાન તપ આરોધકોની શહેરના દરબારગઢ પાસે આવેલા મોટા દેરાસરથી ખાતેથી કાળાનાળા દાદાસાહેબ જૈન દેરાસર સુધી ઘોડાગાડી, ઉંટગાડી તથા બેન્ડબાઝાઓ સાથે વાજતેગાજતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. બપોરે તપસ્વીઓના એકાસણા, દાદાસાહેબ જિનાલય ખાતે સાંજે મહાપૂજા યોજાશે. ભાવનગર તપાસંઘના ઉપક્રમે ડહેલાવાળાના સમુદાયના જૈનાચાર્ય વિજય રત્નચંદ્રસુરી, આચાર્ય વિજય ઉદયરત્નસુરીની નિશ્રામાં ભવ્ય ઉપધાન તપની પૂર્ણાહુતિ પ્રસંગે ત્રી-દિવસીય ભક્તિ ઉત્સવનું આયોજન દાદાસાહેબ જૈન દેરાસર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ઉપધાનના 206 તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન સંઘના પ્રમુખ જયુકાકાએ લીલી ઝંડી આપી કરાવ્યું હતું. ભાવનગર જૈન શ્વે.મુ.પૂ. તપાસંઘ દાદાસાહેબના આંગણે ત્રણ દિવસ દરમિયાન જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, પ્રથમ દિવસે તા.1 ડિસેમ્બરને બુધવારે પૌષધ પા૨વાની વિધિ તથા ભાવભીની અશ્રુભીની સંવેદનાની અનુભૂતિ, બહેનોની મહેંદીનો સમારોહ યોજાયો હતો. તા.2 ડિસેમ્બરને ગુરુવારના રોજ તપસ્વીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા, સાંજે 7:30 કલાકે દાદાસાહેબ ખાતે મહાવીર સ્વામી જિનાલયની મહાપૂજા યોજાશે, તથા ત્રીજા દિવસે તા.3 ને શુક્રવારના રોજ માળા પરિધાન વિધિ પ્રારંભ, માળા આરોહણ પ્રારંભ તથા સાથોસાથ જ બહુમાન વિધિ તથા સકળ ભાવનગર સંઘનું તથા પધારેલા મહેમાનોનું સ્વામિવાત્સલ્ય યોજાશે. આ પ્રસંગે સંઘના પરેશભાઈ, ઋષભભાઈ, દિવ્યકાંતભાઈ સલોત સહિતના જૈન સમાજના આગેવાનો ભાઈઓ- બહેનો જોડાયા હતા.