રાહુલ-પ્રિયંકા કહેશે તો હું રાજકારણમાં આવીશ : વાડ્રા

101

સરકાર મને ગમે તેટલી હેરાન કરે પણ મને કોઈનો ડર નથી : હું દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છું : વાડ્રા
નવી દિલ્હી, તા.૧૮
યુપીની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની બાગડોર પ્રિયંકા ગાંધી સંભાળી રહ્યા છે ત્યારે તેમના પતિ રોબર્ટ વાડ્રાએ કહ્યુ છે કે, હું રાજકારણમાં આવવા માટે તૈયાર છું, માત્ર પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી હા પાડે તેની રાહ જોઈ રહ્યો છું. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, પ્રિયંકાની સુરક્ષાની મને ચિંતા છે.તેમની સિક્યુરિટી હટાવી લેવામાં આવી છે અને મારા બાળકો મને પૂછતા હોય છે કે, મમ્મી ઠીક છે ને….આખો દેશ પ્રિયંકા તરફ જોઈ રહ્યો છે.દેશને આવી નિડર મહિલાની જરુર છે. રોબર્ટ વાડ્રાએ કહ્યુ હતુ કે, આ સરકાર મને ગમે તેટલી હેરાન કરે પણ મને કોઈનો ડર નથી.હું દરેક સવાલનો જવાબ આપવા માટે તૈયાર છું. જો પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને લાગતુ હોય કે મારે કોઈ ચોક્કસ જગ્યાએથી ચૂંટણી લડવી જોઈએ તો હું તેના માટે વિચાર કરવા તૈયાર છું.પ્રિયંકા ગાંધી કોઈ હોદ્દા માટે કામ નથી કરી રહી.યુપીમાં મહેનત કરી રહી છે અને કોંગ્રેસ ચૂંટણી જીતશે તો કોણ સીએમ બનશે તેનો નિર્ણય પાર્ટી કરશે. વાડ્રાએ કહ્યુ હતુ કે, ધર્મને રાજકારણથી દુર રાખવાની જરુર છે.લોકોના મુદ્દાઓ પર ધ્યાન આપવુ જોઈએ.લોકો પાસે કામ નથી, પરેશાન છે ત્યારે એવા કાયદા ના બનાવો કે એક વર્ષ બાદ પાછા ખેંચવા પડે.આ સરકાર મને ગમે તેટલી હેરાન કરે પણ મારે કશું છુપાવવાનુ નથી અને એટલે જ મને કોઈનો ડર નથી.

Previous articleઓડિશાથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ પરીક્ષણ
Next articleભાવનગર જિલ્લાની ૨૪૪ ગ્રા.પં.ની ચૂંટણીમાં સાંજ સુધીમાં ૬૬.૦૮ ટકા મતદાન