ક્રિપ્ટો પર પ્રતિબંધથી દેશ વૈશ્વિક રીતે અલગ પડી જશે

102

ક્રિપ્ટોને ભલે કરન્સી તરીકે કાનૂની માન્યતા ન મળે, પરંતુ સંપૂર્ણ પ્રતિબંધ શક્ય ન હોવાનો નિષ્ણાતોનો અભિપ્રાય
નવી દિલ્હી, તા.૨૮
૨૦૧૩ની ક્રિસમસ પૂર્વે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ એક ચેતવણી આપીને કહ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીમાં નાણાકીય, લિગલ અને સિક્યોરિટીના પ્રશ્નો રહેલા છે, તેથી ભારતીયોએ ક્રિપ્ટો કરન્સીથી દૂર રહેવું. આરબીઆઈની આ ચેતવણીના ચાર વર્ષ અગાઉ સૌથી પહેલી ક્રિપ્ટો કરન્સી બિટકોઈન લોન્ચ થઈ ગઈ હતી. હવે ૨૦૨૧ની વાત કરીએ. આરબીઆઈએ ક્રિપ્ટોમાં રોકાણ કરવાની ભારતીયોને મનાઈ કરી તેના આઠ વર્ષ પછી ક્રિપ્ટો કરન્સી નબળી પડવાના બદલે વધુ મજબૂત બની છે. આ મહિને આરબીઆઈએ ક્રિપ્ટો પર સંપૂર્ણ પ્રતિબંધની માંગણી કરી હતી કારણ કે આંશિક નિયંત્રણોથી કોઈ ફાયદો નહીં થાય. ૨૦૧૮માં આરબીઆઈએ ભારતમાં ક્રિપ્ટો ટ્રેડની મનાઈ ફરમાવી હતી અને બેન્કોને પણ તેમાં કોઈ ફેસિલિટી ન આપવા હુકમ કર્યો હતો. જોકે, ૨૦૨૦માં સુપ્રીમ કોર્ટના એક આદેશે આરબીઆઇના પગલાને ફગાવી દીધો હતો. આરબીઆઈએ ક્રિપ્ટોનો સતત વિરોધ કર્યો છે કારણ કે તેની ફાઈનાન્શિયલ સ્થિરતા અંગે શંકા છે. એક વખત વર્ચ્યુઅલ કરન્સીને છૂટ આપવામાં આવે તો બેન્કો અને બીજી રેગ્યુલેટેડ એન્ટીટીનું મહત્ત્વ ઘટી જશે. આ ઉપરાંત ક્રિપ્ટોમાં પ્રાઈસ વોલેટિલિટી પણ બહુ વધારો જોવા મળે છે તથા ટ્રાન્ઝેક્શનને ટ્રેસ કરવા મુશ્કેલ હોય છે. ભારત જેવા દેશમાં ફોરેન એક્સ્ચેન્જ રિસ્કનું મેનેજમેન્ટ અઘરું પડી શકે છે. આઈએમએફના ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે પણ આ અંગે ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે ઉભરતા અને વિકાસશીલ દેશો સામે મોટું જોખમ રહેલું છે. આરબીઆઈ માને છે કે ક્રિપ્ટોને એક કરન્સી તરીકે કે એસેટ તરીકે માન્યતા મળવી ન જોઈએ. ખાસ કરીને એટલા માટે કારણ કે તેમાં ગેરકાયદે ફંડ ઠલવાઈ શકે છે. ફાઇનાન્શિયલ ટેક્નોલોજી ક્ષેત્રના એક નિષ્ણાત મુજબ સરકારનો એક વર્ગ માને છે કે ક્રિપ્ટો પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો ન જોઈએ કારણ કે તેનાથી આપણે વૈશ્વિક રીતે અલગ પડી જઈશું અને ચીનની હરોળમાં આવી જઈશું. ચીને પણ ક્રિપ્ટો પર પ્રતિબંધ મુક્યો છે. કાનૂની નિષ્ણાતો કહે છે કે ક્રિપ્ટો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં હવે બહુ મોડું થઈ ગયું છે. તેને ભલે કરન્સી તરીકે કાનૂની માન્યતા ન મળે, પરંતુ સંપૂર્ણ પ્રતિબંધ શક્ય નથી. સરકારે એવું વલણ અપનાવવું જોઈએ જેથી રોકાણકારોને ફટકો ન પડે અને ક્રિપ્ટો કરન્સી ભારતમાં અનિયંત્રિત રીતે ગ્રોથ પણ કરવા ન લાગે. લક્ષ્મી કુમારન એન્ડ શ્રીધરન એટર્નીના એક્ઝિક્યુટિવ પાર્ટનર એલ બદરી નારાયણે જણાવ્યું કે સરકાર ક્રિપ્ટો કરન્સીને એક ઇન્વેસ્ટમેન્ટ સાધન તરીકે જોઈને તેને રેગ્યુલેટ કરવા માંગે છે. આવકવેરાના કાયદા હેઠળ ક્રિપ્ટો કરન્સીને એક એસેટ ગણી શકાય અને તેના પર કેપિટલ ગેઇન્સ લાગી શકે છે. જીએસટી અને ટીડીએસ અંગે હજુ કાયદો સ્પષ્ટ નથી.

Previous articleશાળા, સિનેમાહોલ, જીમ બંધ, મેટ્રો પર પણ નિયંત્રણ
Next articleપહેલાં સમસ્યાથી છૂટકારાનો પ્રયાસ થતો હતો : મોદી