સીએમએ બાળકોના રાજ્યવ્યાપી રસીકરણનો પ્રારંભ કરાવ્યો

350

૧૫થી ૧૮ વર્ષના બાળકોનું કોરોના વેક્સિનેશન શરૂ : ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ૭૩ જેટલી શાળાઓના અંદાજે ૨૦ હજાર બાળકોને રસીકરણમાં આવરી લેવાશે, ૫૦ ટીમ કાર્યરત
) અમદાવાદ,તા.૩
ગુજરાત સહિત દેશભરમાં આજથી એટલે કે ૩ જાન્યુઆરીથી ૧૫થી ૧૮ વર્ષના બાળકોનું કોરોના વેક્સિનેશન શરૂ થઈ રહ્યું છે. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ સોમવારે સવારે ૭.૩૦ કલાકે રાજ્યવ્યાપી વેકસીનેશનનો પ્રારંભ કરાવ્યો છે. ગાંધીનગર નજીકના કોબા નજીક આવેલી જીડીએમ કોબાવાલા હાઇસ્કુલથી રાજ્યવ્યાપી વેકસીનેશનની શરૂઆત કરી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકો તરૂણોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગર ના કોબાની જીડીએમ કોનાવાલા હાઇસ્કુલથી કરાવ્યો હતો. મુખ્યમંત્રી સવારે શાળામાં પહોંચ્યા અને બાળકોના રસીકરણ ની કામગીરી નિહાળી હતી. મુખ્યમંત્રીએ બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.આ વેળાએ ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા,ધારાસભ્ય શંભૂજી, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે તેમજ મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ અને શાળા શિક્ષક પરિવાર તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોના સામે સુરક્ષા કવચરૂપી વેક્સિનેશન ડ્રાઇવની રાજ્યમાં શરૂઆત થવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બીજી બાજુ સમગ્ર રાજ્યમાં અંદાજે ૩૫ લાખથી વધુ બાળકોને રસીકરણનો લાભ આપવા રાજ્યના આરોગ્ય વિભાગે પૂરતી તૈયારીઓ કરી છે. ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ૭૩ જેટલી શાળાઓના અંદાજે ૨૦ હજાર બાળકોને આ રસીકરણમાં આવરી લેવાશે, જેના માટે આરોગ્યકર્મીઓની ૫૦ ટીમ કાર્યરત રહેશે. રસીકરણ અભિયાનમાં પ્રથમ દિવસે જ ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની ૧૩ શાળાઓના પાંચ હજાર બાળકોને વેક્સિન ડોઝ આપવાનું મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગે આયોજન કર્યું છે. જેમાં ૧૫ થી ૧૮ વર્ષના તમામને વેકસીન આપવા માટે ૧ જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થયું હતું. જેમણે રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય એમનું ઓનસ્પોટ રજિસ્ટ્રેશન કરીને રસી આપી શકાશે. રાજ્યમાં ૩થી ૯ જાન્યુઆરી સુધી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે ૧૫-૧૮ વર્ષના બાળકો અને યુવાનોને કોવિડ-૧૯ને કોરોના વેક્સિન અપાશે. આ ઉપરાંત જે વાલી વેક્સિનેશન સેન્ટરમાં બાળકોને વેક્સિન અપાવવા માંગશે તો પણ તેમને વેક્સિન આપવામાં આવશે. એટલું જ નહીં, ૩ જાન્યુઆરીથી શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જૂથના બાળકોના રસીકરણ માટે અલગ-અલગ સેશન ગોઠવાશે. શાળાઓ, આઈટીઆઈ કે શાળાએ ન જતા બાળકોને પણ આવરી લેવાશે. આ ઉપરાંત દિવ્યાંગ સંસ્થાઓ, અનાથાશ્રમો તથા માનસિક રીતે અસ્વસ્થ હોય તેવા બાળકોને સાચવતી સંસ્થાઓને પણ આવરી લેવાશે.

Previous articleસંબંધોનુ સમીકરણ
Next articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૩૭૫૦ કેસ નોંધાયા