કોરોના માટે દેશમાં સૌથી સસ્તી એન્ટીવાયરલ દવા લોન્ચ થઈ

76

કોરોના સામેની લડાઈમાં રાહત આપતા સમાચાર : પાંચ દિવસના કોર્સની કિંમત ૧૩૯૯ રુપિયા છે, કોરોના મહામારી દરમિયાન ઉપયોગમાં લેવાયેલી તમામ દવાઓમાં આ સૌથી સસ્તી એન્ટીવાયરલ દવા છે
મુંબઈ તા.૪
મોલનુપિરાવિર, આ એક એવી એન્ટીવાયરલ દવા છે જેને તાજેતરમાં જ ભારતમાં કોરોનાના હળવાથી સામાન્ય લક્ષણોની સારવાર માટે ઉપયોગમાં લેવાની મંજૂરી આપવામાં આવી છે. સોમવારના રોજ આ દવાને લોન્ચ કરવામાં આવી હતી. પાંચ દિવસના કોર્સની કિંમત ૧૩૯૯ રુપિયા છે. આ કિંમત પરથી કહી શકાય કે, કોરોના મહામારી દરમિયાન ઉપયોગમાં લેવાયેલી તમામ દવાઓમાં આ સૌથી સસ્તી એન્ટીવાયરલ દવા છે. એક સૂત્રએ જણાવ્યું કે હેતારો, સન ફાર્મા, નેટકો અને ડોક્ટર રેડ્ડી સહિત લગભગ ડઝનથી વધારે કંપનીઓ મર્ક અને તેના પાર્ટનર રિજબેક બાયો થેરાપ્યુટિક દ્વારા વિકસાવવામાં આવેલી ઓરલ થેરાપીને માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેઓ સંપૂર્ણ સારવાર માટે ૧૫૦૦થી ૨૫૦૦ રુપિયા સુધીમાં માર્કેટમાં રજૂ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતું રેમડેસિવિયર ઈન્જેક્શન નસમાં મારવામાં આવતુ હતું અને તેના માટે હોસ્પિટલ જવુ જરૂરી હતું. માટે હવે જ્યારે આ એન્ટીવાયરલ દવાઓ માર્કેટમાં આવશે તો વૈશ્વિક ધોરણે કોરોનાની સારવાર માટે ગેમચેન્જર સાબિત થશે. મેનકાઈન્ડ ફાર્મા કંપનીનું જોડાણ બીડીઆર ફાર્માસ્યૂટિકલ્સ સાથે છે. આ કંપનીએ સોમવારના રોજ દિલ્હી અને દેશના અન્ય ભાગમાં એન્ટીવાયરલ દવા મોલુલાઈફ (200 mg) લોન્ચ કરી હતી. વધુમાં, સન ફાર્માએ આ દવાના આખા કોર્સની કિંમત ૧૫૦૦ રુપિયા નક્કી કરી છે. દેશભરમાં જ્યાં કોરોનાના કેસ અત્યારે વધારે સંખ્યામાં છે ત્યાં આ એન્ટીવાયરલ દવા મોલઝેવીર ઉપલબ્ધ કરવામાં આવશે. મોલનુપિરાવિરના ડોઝની વાત કરીએ તો, પાંચ દિવસ સુધી દિવસમાં બે વાર આ દવા લેવાની હોય છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, આ દવા દર્દીઓને પરવડે તેવી કિંમતમાં ઉપલબ્ધ હશે, જેના કારણે માર્કેટમાં સ્પર્ધા પણ જોવા મળશે. યુનાઈટેડ કિંગ્ડમના ડ્રગ રેગ્યુલેટર દ્વારા પણ આ દવાને માન્યતા આપવામાં આવી છે. જ્યારે અમેરિકાના ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા વયસ્કોમાં કોરોનાના સામાન્ય કે હળવા લક્ષણો હોય તો આ દવાના ઉપયોગને માન્યતા આપવામાં આવી છે. યુએસએફડીએ દ્વારા માન્યતા આપવામાં આવી પછી ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા પણ મંજૂરી આપવામાં આવી. જે વયસ્ક દર્દીઓમાં એસપીઓ૨ ૯૩ ટકા હોય તેને આ દવા આપી શકાશે. જૂન ૨૦૨૧માં એમએસડી દ્વારા પાંચ જેનરિક કંપનીઓ સાથે અગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કંપનીઓમાં સન ફાર્મા, સિપલા, ટોરન્ટ, એમક્યોર અને ડો. રેડ્ડી સામેલ હતી. આ કંપનીઓ ભારતમાં મોલનુપિરાવિરના ઉત્પાદન અને વિતરણનું સંચાલન કરશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૭૩૭૯ નવા કેસ નોંધાયા