વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિથી ફિરોઝપુરની રેલી રદ કરાઈ

93

હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી ૩૦ કિમી દૂર કેટલાક વિરોધીઓએ રસ્તો રોકતા મોદી ૧૫-૨૦ મિનિટ સુધી ફ્લાયઓવર ઉપર અટવાયા
નવી દિલ્હી,તા.૫
પંજાબના ફિરોઝપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી રદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પીએમની સુરક્ષામાં ક્ષતિના કારણે ફિરોઝપુરમાં રેલી રદ કરવામાં આવી છે. નવા કૃષિ કાયદાને રદ્દ કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી પહેલીવાર પંજાબની મુલાકાતે જવાના હતા અને ફિરોઝપુર જવા માટે પણ રવાના થયા હતા, પરંતુ સુરક્ષાના કારણોસર રેલી રદ કરવી પડી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે આજે સવારે પીએમ નરેન્દ્ર મોદી ભટિંડા પહોંચ્યા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. વરસાદ અને નબળી વિઝિબિલિટીના કારણે, પીએમ હવામાન ચોખ્ખું થવા માટે લગભગ ૨૦ મિનિટ રાહ જોતા હતા. જ્યારે હવામાનમાં સુધારો ન થયો તો નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ રોડ માર્ગે નેશનલ મેરીટોરીયસ મેમોરિયલની મુલાકાત લેશે, જેમાં ૨ કલાકથી વધુ સમય લાગશે. નિવેદન અનુસાર, ડીજીપી પંજાબ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની પુષ્ટિ કર્યા પછી, તેઓ રોડ માર્ગે મુસાફરી કરવા માટે આગળ વધ્યા હતા. હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ ૩૦ કિમી દૂર, જ્યારે પીએમનો કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો, ત્યારે જાણવા મળ્યું કે કેટલાક વિરોધીઓએ રસ્તો રોકી દીધો હતો. આ પછી પીએમ મોદી ૧૫-૨૦ મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. પીએમની સુરક્ષામાં આ એક મોટી ખામી હતી. ગૃહ મંત્રાલયે કહ્યું, પંજાબ સરકારને પ્રધાનમંત્રીના સમયપત્રક અને પ્રવાસની યોજનાઓ વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી હતી. પ્રક્રિયા મુજબ, તેઓએ સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવાની સાથે સાથે આકસ્મિક યોજના તૈયાર રાખવાની રહેશે. ઉપરાંત, આકસ્મિક યોજનાને ધ્યાનમાં રાખીને, પંજાબ સરકારે રસ્તા દ્વારા કોઈપણ હિલચાલને સુરક્ષિત કરવા માટે વધારાની સુરક્ષા તૈનાત કરવી પડશે, જે સ્પષ્ટપણે તૈનાત કરવામાં આવી ન હતી. આ સુરક્ષા ક્ષતિ પછી ભટિંડા એરપોર્ટ પર પાછા ફરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુરક્ષામાં આ ગંભીર ક્ષતિની નોંધ લેતા ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. રાજ્ય સરકારને પણ આ ક્ષતિની જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. પીએમ મોદીનો કાફલો ૧૫-૨૦ મિનિટ સુધી ફસાયેલો રહ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પોલીસ પર પ્રદર્શનકારીઓ સાથે મિલીભગત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, ’પંજાબ માટે હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્‌સ શરૂ કરવા જઈ રહેલા પીએમ મોદીની મુલાકાતમાં વિક્ષેપ પડ્યો તે દુઃખદ છે. રાજ્ય પોલીસને લોકોને રેલીમાં સામેલ થતાં અટકાવવાની સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રી ચન્નીએ ફોન પર વાત કરવાનો કે ઉકેલ લાવવાની ના પાડી દીધી. તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીની રેલી સાથે જ પંજાબમાં ભાજપના ચૂંટણી પ્રચાર શરૂઆત કરવાના હતા. પોતાની યાત્રા દરમિયાન પીએમ મોદી ફિરોઝપુરમાં પીજીઆઈના સેટેલાઇટ સેન્ટર સહિત લગભગ રૂ. ૪૨,૭૫૦ કરોડના પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કરવાના હતા અને પછી ફિરોઝપુરમાં જ એક ચૂંટણી રેલીને સંબોધિત કરવાના હતા. ભાજપના પંજાબ ચૂંટણી પ્રભારી કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતના નેતૃત્વમાં છેલ્લા ઘણા દિવસોથી રેલીની તૈયારીઓ ચાલી રહી હતી અને પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ પણ પીએમ મોદી સાથે મંચ પર પહોંચવાના હતા. પંજાબમાં કૃષિ સુધારા કાયદા સામે ખેડૂતોના આંદોલનને કારણે ભાજપને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જો કે કાયદાઓ હવે પાછા ખેંચી લેવામાં આવ્યા છે, પરંતુ આંદોલનમાં ૭૦૦ જેટલા મૃત્યુને કારણે ખેડૂતોનો ગુસ્સો યથાવત છે. તેને દૂર કરવા માટે ભાજપ કેન્દ્ર સરકાર દ્વારા શીખો માટે કરેલા કામ ગણાવી રહી છે. જેમાં કરતારપુર કોરિડોર ખોલવું, શીખ વિરોધી રમખાણોના આરોપીઓ સામે કાર્યવાહી, જીએસટીમાંથી લંગરને મુક્તિ, અફઘાનિસ્તાનમાંથી શીખોની પરત ફરવું વગેરેનો સમાવેશ થાય છે.

Previous articleમોદીની સુરક્ષામાં ચૂક બદલ ફિરોઝપુરના SSP સસ્પેન્ડ
Next articleપુલવામામાં જૈશના ત્રણ આતંકીને ઠાર કરતી સેના