શિવમોગામાં સ્થિતિ પર નિયંત્રણ માટે ૧૪૪ની કલમ લાગુ કરાઈ

688

શિવમોગામાં હિન્દુ નેતાની હત્યા બાદ હોબાળો સ્કૂલ-કૉલેજ બંધ કરી દેવામાં આવ્યા છે, આ મુદ્દો સાંપ્રદાયિક બનવાની સાથે-સાથે રાજકીય બની રહ્યો છે
બેંગલુરૂ, તા.૨૧
કર્ણાટકમાં બજરંગદળના ૨૩ વર્ષના કાર્યકર્તાની ચાકુ મારીને હત્યા કરાયા બાદ અહીં ભારેલા અગ્નિ જીવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ તણાવમય માહોલ વધારે ખરાબ ના થાય તે અંગે પણ વિવિધ પગલા ભરવામાં આવી રહ્યા છે. આ મુદ્દો સાંપ્રદાયિક બનતા આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસબળ ઉતારવામાં આવ્યું છે. સ્થિતિ વધારે વણસે નહીં તે માટે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. સ્કૂલ-કૉલેજ બંધ કરી દેવામાં આવ્યા છે. આ મુદ્દો સાંપ્રદાયિક બનવાની સાથે-સાથે રાજકીય પણ બની રહ્યો છે. શિવમોગામાં હિન્દુ નેતાની હત્યા બાદ હોબાળા અને રાજકીય ગરમાવા વચ્ચે પોસ્ટમોર્ટમ પૂર્ણ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસબળ વચ્ચે યુવકના મૃતદેહને તેના ઘરે લાવવામાં આવ્યો હતો. આ બધાની વચ્ચે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તા જોડાયા હતા. પોલીસ આ દરમિયાન કોઈ હિંસક પ્રવૃત્તિ ના થાય તે માટે એલર્ટ છે. શબને ચારે તરફ અને હર્ષના ઘરને ફરતા ભારે પોલીસબળ ઉતારવામાં આવ્યું છે. હિન્દુ યુવક હર્ષની હત્યાના કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, પોલીસે શંકાસ્પદ લાગતા ત્રણ લોકોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ જણાવ્યું કે ૪-૫ યુવકોના સમૂહે હત્યા કરી હતી. મને નથી ખબર કે હત્યા પાછળ કયા સંગઠનનો હાથ છે. શિવમોગામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે જરુરી પગલા ભરવામાં આવ્યા છે, શહેરની સરહદમાં આવતી સ્કૂલો અને કૉલેજ બે દિવસ માટે બંધ કરવામાં આવ્યા છે. તેમણે એ પણ કહ્યું કે આ મામલાને હિજાબ વિવાદ સાથે જોડવો યોગ્ય નથી. કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે ઈશ્વરપ્પાના નિવેદન પર પલટવાર કરીને કહ્યું, “ઈશ્વરપ્પા ગાંડો માણસ છે. તેમની જીભ અને મગજ સાથે કોઈ સંબંધ નથી. તે બકવાસ કરે છે. તેમની સામે દેશદ્રોહનો કેસ થવો જોઈએ અને ભાજપે તેમને બરતરફ કરવા જોઈએ. તેમને આ દેશમાં કોઈ માફ ના કરી શકે. તેમણે કહ્યું હતું કે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજની જગ્યાએ ભગવો નેજો ફરકાવવો જોઈએ. મને નથી ખબર કે ભાજપ ચૂપ શા માટે છે?” આ મામલે જનતા દળ સેક્યુલરના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું છે કે પાછલા અઠવાડિયે જ્યારે કરાવલી મુદ્દો (હિજાબ મામલો) શરુ થયો, ત્યારે મેં ભવિષ્યવાણી કરી હતી કે આ પ્રકારનો ઘટનાક્રમ થઈ શકે છે. આપણે છોકરાનું મોત જોયું. આ કોંગ્રેસ અને ભાજપની ઉપલબ્ધિ છે. તેમણે રાજ્યની શાંતિને અસ્થિર કરી દીધી. તેઓ આ પ્રકારની ઘટના ઈચ્છતા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે, શિવમોગામાં એક હિન્દુ કાર્યકર્તા હર્ષની હત્યાથી ભારે દુઃખ થયું છે. તપાસ કરી છે અને તેના માટે જવાબદાર લોકોની જલદી ધરપકડ કરવામાં આવશે. પોલીસ અધિકારીઓએ કાયદો અને વ્યવસ્થા બનાવવાનો નિર્દેશ આપ્યો છે અને હું લોકોને શાંતિ રાખવાનો અનુરોધ કરું છું. મુખ્યમંત્રીએ કહ્યું કે પોલીસને હત્યારા સુરાગ મળી ગયા છે.શ્રીરામ સેનાના સંયોજક પ્રમોદ મુતાલિકે પીપલ્સ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા પર પ્રતિબંધ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી. ડીજીપીએ જણાવ્યું કે ઘટનામાં સંકળાયેલા ગુનેગારોની શોધખોળ માટે પુરતું પોલીસબળ કામે લગાડવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અમારી પ્રાથમિકતા તેમની શોધખોળ કરવાનું અને સજા અપાવવાનું છે. અમે લોકોને સહયોગ કરવા અને કોઈ ભાવનાત્ક પગલું ના ભરવા માટે અપીલ કરીએ છીએ.

Previous articleચારા કૌભાંડમાં લાલુ યાદવને ૫ વર્ષની કેદ, ૬૦ લાખનો દંડ
Next articleયુએસ ગુપ્ત એજન્સીનો દાવો, પુતિને આપી દીધા છે હુમલાનાં આદેશ