ત્રીજું વિશ્વયુદ્ધ પરમાણુ યુદ્ધ હશે રશિયાના વિદેશ મંત્રીની ચેતવણી

63

રશિયન અધિકારીઓ યુક્રેન સાથે બીજા રાઉન્ડની વાતચીત માટે તૈયાર છે, પરંતુ યુક્રેનના અધિકારીઓ વાતચીત માટે આવશે કે કેમ તે સ્પષ્ટ નથી
મોસ્કો, તા.૨
યુક્રેન પર રશિયાના હુમલાનો આજે સાતમો દિવસ છે. રશિયાના હુમલામાં યુક્રેનને ઘણું નુકસાન થયું છે. રાજધાની કિવમાં રશિયાના હવાઈ હુમલામાં અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. રશિયા પણ સતત મિસાઈલોથી હુમલો કરી રહ્યું છે. આ દરમિયાન રશિયાના વિદેશ મંત્રીએ પરમાણુ યુદ્ધની ચેતવણી આપી છે. વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું કે જો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો તે પરમાણુ યુદ્ધ હશે. વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે આ ખૂબ જ વિનાશક યુદ્ધ હશે. લવરોવે કહ્યું છે કે જો કિવ પરમાણુ હથિયાર મેળવે તો રશિયાને વાસ્તવિક ખતરાનો સામનો કરવો પડશે. ક્રેમલિને કહ્યું કે રશિયન અધિકારીઓ યુક્રેન સાથે બીજા રાઉન્ડની વાતચીત માટે તૈયાર છે, પરંતુ યુક્રેનના અધિકારીઓ વાતચીત માટે આવશે કે કેમ તે સ્પષ્ટ નથી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે મંત્રણા અંગે વિરોધાભાસી માહિતી છે. આ પહેલા બેલારુસ બોર્ડર પર બંને દેશોની બેઠક નિરર્થક રહી હતી.યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ મંગળવારે કહ્યું કે રશિયાએ મંત્રણા પહેલા યુક્રેનિયન શહેરો પર બોમ્બમારો બંધ કરવો જોઈએ.બીજી તરફ યુક્રેને યુદ્ધના ૬ દિવસમાં ૬,૦૦૦ રશિયન સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે યુદ્ધના ૬ દિવસમાં લગભગ ૬૦૦૦ રશિયનો માર્યા ગયા છે. અલ જઝીરા સાથેની એક મુલાકાતમાં, સર્ગેઈ લવરોવે કહ્યું કે મોસ્કો કિવ સાથે બીજા રાઉન્ડની વાતચીતની તૈયારી કરી રહ્યું છે, પરંતુ યુક્રેનિયન પક્ષ યુએસના કહેવા પર તેના પગ ખેંચી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે રશિયા કોઈપણ કિંમતે યુક્રેનને પરમાણુ શક્તિ બનવા દેશે નહીં. રશિયન મીડિયાએ એ પણ માહિતી આપી છે કે આજે બેલારુસના ગોમેલ ક્ષેત્રમાં રશિયા અને યુક્રેન વચ્ચે બીજા રાઉન્ડની વાતચીત થવાની હતી, પરંતુ કિવનું પ્રતિનિધિમંડળ નિર્ધારિત સમયે પહોંચી શક્યું ન હતું. રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ પણ જણાવ્યું હતું કે રશિયન પ્રતિનિધિમંડળ બુધવારે મોડી રાત્રે સ્થળ પર યુક્રેનિયન વાટાઘાટકારોની રાહ જોશે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે બુધવારે દાવો કર્યો હતો કે રશિયન સૈન્ય એકમોએ યુક્રેનના ક્ષેત્રીય કેન્દ્ર ખેરસન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. મંત્રાલયના પ્રવક્તા ઇગોર કોનાશેન્કોવે જણાવ્યું હતું કે ખેરસનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય સુવિધાઓ અને શહેરી પરિવહન પ્રણાલી રાબેતા મુજબ કાર્યરત છે. તેમણે એમ પણ કહ્યું કે શહેરમાં ખોરાક અને આવશ્યક ચીજવસ્તુઓની કોઈ અછત નથી. કોનાશેન્કોવે કહ્યું કે રશિયન કમાન્ડ શહેરના વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે અને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરીને સામાન્ય કામગીરીના સરળ સંચાલનમાં મદદ કરી રહી છે.
રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેઓ હુમલાના સાતમા દિવસે ડોનેટ્‌સક અને લુગાન્સ્ક પીપલ્સ રિપબ્લિકમાં યુક્રેનિયન દળો પર આગળ વધી રહ્યા છે. દાવા મુજબ, લુગાન્સ્ક પીપલ્સ રિપબ્લિક અને રશિયન દળોએ સંયુક્ત રીતે સ્ટારોબેલ્સ્ક અને સ્વેતોવોના વિસ્તારો પર કબજો કરી લીધો છે. ડનિટ્‌સ્ક પીપલ્સ રિપબ્લિકના દળોએ કાલિનોવકા, લેબેડિન્સકોયે, પિનરસ્કોયે, નિકોલેવકા અને ઓસિપેન્કો પણ કબજે કર્યા. ડોનેટ્‌સક સુરક્ષા દળોએ ઓપરેશનની શરૂઆતથી ૫૮ કિમીના વિસ્તાર પર કબજો કરી લીધો છે. અહેવાલ છે કે તેમણે કહ્યું કે રશિયન સેના હવે ટોકમાક અને વાસિલીવેકાની વસાહતો પર નિયંત્રણ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

Previous articleયુક્રેનમાં સેના નહીં મોકલીએ પરંતુ રશિયાને મનમાની નહીં કરવા દઇએ
Next articleરશિયામાં પૈસા કાઢવા માટે લોકોનો ATM પર ધસારો