રશિયાએ યુક્રેનમાં આશિંક યુદ્ધ વિરામની કરી જાહેરાત

62

યુક્રેનમાં ફસાયેલા અન્ય દેશોના લોકોને બચાવવા પગલું : યુક્રેનના શહેર મારીપોલ-વોલ્નોવાખામાં રહેલા લોકોને યુદ્ધગ્રસ્ત વિસ્તારથી બહાર નીકળવા માટે રશિયન સેનાની આંશિક યુદ્ધ વિરામની જાહેરાત
મોસ્કો, તા.૫
રશિયાએ યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ખારકીવ અને સુમીમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ભારતે રશિયા પાસે માંગણી કરી હતી. યુક્રેને પણ આ સમયગાળા દરમિયાન હુમલો નહીં કરવાની ખાતરી આપી હતી. જે બાદ આજે રશિયન મીડિયા એજન્સી સ્પુતનિકમાં જણાવ્યા મુજબ યુક્રેનમાં ફસાયેલા અન્ય દેશોના લોકોને બચાવવા માટે રશિયાએ યુદ્ધવિરામની જાહેરાત કરી છે. રશિયાએ માનવતાના આધાર પર આ જાહેરાત કરી છે. મહત્વનું છે કે સેંકડો ભારતીયો હાલમાં ખાર્કિવ અને સુમીમાં ફસાયેલા છે. ગઈકાલે જ સુમીમાં ફસાયેલા ભારતીયોનો એક વીડિયો સામે આવ્યો હતો. જે બાદ ભારતે રશિયા પાસે યુદ્ધવિરામની પણ માંગ કરી હતી. રશિયન મીડિયા અનુસાર યુક્રેનના સ્થાનિક સમય મુજબ સવારે ૧૧.૩૦ વાગ્યે યુદ્ધવિરામ શરૂ થશે. રશિયાના સંરક્ષણ વિભાગ તરફથી કહેવામં આવ્યું છે કે યુક્રેનના શહેર મારીપોલ અને વોલ્નોવાખામાં રહેલા લોકોને યુદ્ધગ્રસ્ત વિસ્તારથી બહાર નીકળવા માટે રશિયન સેના આંશિક યુદ્ધ વિરામની જાહેરાત કરે છે. જો કે આ બંને ક્ષેત્રોમાં ભારતીયોની સંખ્યા ઘણી ઓછી છે, તેમ છતાં તે શાંતિની દિશામાં એક સારું પગલું છે. એવું માનવામાં આવે છે કે યુક્રેન અને રશિયા વચ્ચે બીજા રાઉન્ડની વાતચીત બાદ આ કોરિડોર બનાવવા માટે સમજૂતી થઈ છે. જ્યારે બીજી તરફ મળતા રિપોર્ટ અનુસાર કીવ, ચેર્નિહિવ અને સુમીમાં હજુ પણ ફારયિંગ શરું છે.
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો ૧૦મો દિવસ છે. યુક્રેને દાવો કર્યો છે કે જાયટોમીર શહેરમાં રશિયન બોમ્બમારામાં તેના ૪૭ નાગરિકનાં મોત થયાં છે. સ્થાનિક પોલીસે તેને ક્લસ્ટર બોમ્બથી કરાયેલો હુમલો ગણાવ્યો હતો. બીજી તરફ અમેરિકા અને નાટોના આશ્વાસનના આધારે સુપરપાવર રશિયા સામે શિંગડા ભેરવ્યા પછી યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલ્દોમીર ઝેલેન્સ્કીને એક મોટો ઝાટકો લાગ્યો છે. નાટો ગઈકાલે જ તેની હાઈ લેવલ મીટિંગમાં યુક્રેનને નો ફ્લાઈ ઝોન ગણાવ્યો છે. જે બાદ નાટોના આ નિર્ણય પર યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી રોષે ભરાયા છે. તેમણે નાટોને ઘણું જ નબળું અને ભ્રામિક ગણાવીને કહ્યું કે આજથી યુક્રેનમાં જે પણ લોકોનાં મૃત્યુ થશે, તેમનું લોહી નાટોના હાથે ગણાશે, કારણ કે તમારી નબળાઈ અને ખરા સમયે દૂર રહેવાના કારણે આજે રશિયાને યુક્રેનમાં ખુલ્લું મેદાન મળી ગયું છે. પીએમ મોદીએ અત્યાર સુધી આ મામલે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે બે વખત વાતચીત કરી છે. ભારતે યુક્રેન અને રશિયા પાસેથી માગણી કરી હતી કે આપણા નાગરિકોને ત્યાંથી જવાની તક આપે અને યુદ્ધવિરામ જાહેર કરે. હજુ પણ મોટી સંખ્યામાં ભારતીયો રશિયાને અડીને આવેલા યુક્રેનના વિસ્તારોમાં ફસાયેલા છે. તો બીજી તરફ શુક્રવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ઓપરેશન ગંગા મારફતે ૧૭૦૦૦ ભારતીય નાગરિકોને યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી પરત લાવવામાં આવ્યા છે.

Previous articleલારી બે પૈડાથી ચલાવવાનો સમય પાકી ગયો છે!!
Next articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૯૨૧ કેસ