મહુવા તાલુકાના નવી તરેડી ગામે તિક્ષ્ણ હથિયારો ના ઘા મારી યુવાનની હત્યા કરાઈ

86

મહુવા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નવી તરેડી ગામે ગત રાત્રે પોતાના ઘરેથી પ્લોટમાં આવેલા વાડામાં સુવા ગયેલા યુવાનની અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હતી. જે બાદ હત્યારાઓ નાસી છુટ્યા હતા. ત્યારે આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમગ્ર બનાવ અંગે મહુવા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના નવી તરેડી ગામે રહેતા ઘેલાભાઈ ગુજરીયા પત્ની તથા ત્રણ અપરણિત પુત્રો સાથે રહે છે અને છુટક ખેત મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવે છે. આ શ્રમજીવીનો મોટો પુત્ર વિક્રમ ઉર્ફે બુધો ઘેલાભાઈ ગુજરીયા ઉ.વ.આ.40 નિત્યક્રમ મુજબ ગત રાત્રે ઘરે પરીવાર સાથે જમીને તરેડીથી બોડા ગામ તરફ જવાના રોડપર આવેલા પ્લોટે દરરોજના ક્રમ મુજબ સુવા ગયો હતો. આ દરમિયાન થોડી વારમાં આજ ગામનાં યુવાને વિક્રમના ભાઈ કેશુને ઘરે આવી કહ્યુ હતું કે, વિક્રમ પ્લોટમાં લોહીલુહાણ હાલતે પડ્યો છે આથી બંને ભાઈઓ તથા પિતા ઘેલાભાઈ પ્લોટમાં જતાં વિક્રમને શરીરના વિવિધ ભાગોમાં તિક્ષ્ણ હથિયારો ના ઘા સાથે વિક્રમ લોહીના ખાબોચિયામાં પડ્યો હતો આથી ભાઈઓએ તત્કાળ 108 મારફતે મહુવા હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જયાં ફરજ પરનાં તબીબોએ યુવાન વિક્રમને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ અંગે મૃતકના નાનાં ભાઈ કેશુ એ મહુવા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોતાના ભાઈની તિક્ષ્ણ હથિયારો ના ઘા ઝીંકી મોત નિપજાવી નાસી છુટ્યાની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Previous articleતળાજાના સથરા ગામની શાળામાં બોર્ડની પરીક્ષામાં મધમાખીનું ઝુંડ ત્રાટકયું, 10થી વધું વિદ્યાર્થીને ડંખ માર્યો
Next articleભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 7 જોડી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે