અમૃતકાળમાં ભારતની સોચ આત્મનિર્ભરતાની : મોદી

47

લોકલને ગ્લોબલ બનાવવાની, મારી પ્રાર્થના છે કે મા સ્કંદમાતાના આશીર્વાદ દેશવાસીઓ પર, ભાજપના પ્રત્યેક કર્મઠ કાર્યકર અને પ્રત્યેક સભ્ય પર હંમેશા જળવાઈ રહે : મોદી
નવી દિલ્હી,તા.૬
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પાર્ટી કાર્યકરોને સંબોધિત કર્યા. આ દરમિયાન પીએમ મોદીએ કાર્યકરોને કહ્યું કે મારી પ્રાર્થના છે કે મા સ્કંદમાતાના આશીર્વાદ દેશવાસીઓ પર, ભાજપના પ્રત્યેક કર્મઠ કાર્યકર અને પ્રત્યેક સભ્ય પર હંમેશા જળવાઈ રહે. પીએમ મોદીએ કહ્યું કે આજે નવરાત્રની પાંચમી તિથિ છે, આજના દિવસે આપણે બધા મા સ્કંદમાતાની પૂજા કરીએ છીએ. આપણે બધાએ જોયું કે મા સ્કંદમાતા કમળના આસન પર બિરાજમાન રહે છે અને તેમના બંને હાથમાં કમળનું ફૂલ હોય છે. તેમણે વધુમાં કહ્યું કે હું દેશ અને દુનિયાભરમાં ફેલાયેલા ભાજપના પ્રત્યેક સભ્યને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું. કાશ્મીરથી કન્યાકુમારી, કચ્છથી કોહિમા સુધી ભાજપ એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પને નિરંતર સશક્ત કરી રહ્યો છે. પીએમ મોદીએ કાર્યકરોને સંબોધતા કહ્યું કે આ વખતનો સ્થાપના દિવસ વધુ ૩ કારણસર મહત્વપૂર્ણ બની ગયો છે. પહેલું કારણ એ કે હાલ આપણે દેશની આઝાદીના ૭૫ વર્ષનું પર્વ ઉજવી રહ્યા છે. આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. તે પ્રેરણાની ખુબ મોટી તક છે. બીજુ કારણ એ છે કે ઝડપથી બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ, બદલતા ગ્લોબલ ઓર્ડર. તેમાં ભીરત માટે સતત નવી સંભાવનાઓ બની રહી છે. ત્રીજુ કારણ પણ એટલું જ મહત્વનું છે. થોડા સમય પહેલા ચાર રાજ્યોમાં ભારતની ડબલ એન્જિનની સરકાર પાછી ફરી છે. ત્રણ દાયકા બાદ રાજ્યસભામાં કોઈ પાર્ટીના સભ્યોની સંખ્યા ૧૦૦ સુધી પહોંચી છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે વૈશ્વિક દ્રષ્ટિકોણથી જુઓ કે રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી, ભાજપની જવાબદારી, ભાજપના પ્રત્યેક કાર્યકરની જવાબદારી સતત વધી રહી છે. આ માટે ભાજપના પ્રત્યેક કાર્યકર, દેશના સપનાના પ્રતિનિધિ છે, દેશના સંકલ્પોના પ્રતિનિધિ છે. આ અમૃતકાળમાં ભારતની સોચ આત્મનિર્ભરતાની છે, લોકલને ગ્લોબલ બનાવવાની છે, સામાજિક ન્યાય અને સમરસતાની છે. આ જ સંકલ્પોને લઈને એક વિચારબીજ સ્વરૂપમાં આપણી પાર્ટીની સ્થાપના થઈ હતી. આથી આ અમૃતકાળ ભાજપના દરેક કાર્યકર માટે કર્તવ્ય કાળ છે. આ અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાજપના સ્થાપના દિવસ પર લખનઉ પાર્ટી કાર્યાલયમાં પાર્ટીનો ઝંડો ફરકાવ્યો. ભાજપના સ્થાપના દિવસના અવસરે આયોજિત કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ભાજપની યાત્રા દેશ અને દુનિયાના રાજનીતિક વિશ્લેષકો માટે આશ્ચર્યનો વિષય છે. આ યાત્રા ઘણું બધુ કહે છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતીય જનસંઘની સ્થાપનાનો ઉદ્દેશ્ય એ જ હતો કે અમને સત્તાનું રાજકારણ નહીં, આપણે ભારત માટે સમર્પણનો ભાવ પેદા કરનારા લોકોને એક રાજનીતિક પક્ષ તરીકે આગળ લઈ જવા માટે કાર્ય કરવાનું છે. અત્રે જણાવવાનું કે દેશના રાજનીતિક ઈતિહાસમાં ૬ એપ્રિલનો દિવસ ખુબ મહત્વ ધરાવે છે અને આ દિવસે વર્ષ ૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી. શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા ૧૯૫૧માં સ્થાપિત ભારતીય જન સંઘથી આ નવી પાર્ટીનો જન્મ થયો હતો. ૧૯૭૭માં ઈમરજન્સીની જાહેરાત બાદ જનસંઘનો અન્ય અનેક પક્ષો સાથે વિલય થયો અને જનતા પાર્ટીનો ઉદય થયો. પાર્ટીએ ૧૯૭૭માં સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી સત્તા ઝૂંટવી અને ૧૯૮૦માં જનતા પાર્ટીને ભંગ કરીને ભારતીય જનતા પાર્ટીનો પાયો નખાયો.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleનિર્દોષોનું લોહી વહાવીને સમસ્યાનું સમાધાન ન થઈ શકે : એસ જયશંકર