ભાવનગરના ચિત્રા ખાતે ધર્મસભા, અભિવાદન સમારોહ અને સંતવાણી કાર્યક્રમનું આયોજન

117

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી આર.સી. મકવાણા સહિતનાઓ ઉપસ્થિતિ રહેશે
ભાવનગરમાં આવતીકાલે રાત્રે 8 કલાકે ચિત્રા ખાતે આવેલાં ઓમ પાર્ટી પ્લોટ ખાતે ‘શક્તિ આરાધના ધર્મોત્સવ’ ના નામે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભવ્ય ધર્મસભા, અભિવાદન સમારોહ અને સંતવાણીનું આયોજન કરાયું છે. દેવી આરાધક સેવક સમૂદાય આયોજિત આ કાર્યક્રમ ભાવનગર શહેરના ચિત્રા ઓમ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. જેમાં હિન્દુ સનાતન ધર્મના ધર્મધુરંધર સંતો મહંતો ધર્મસભાને સંબોધશે. ત્યારબાદ આધ્યાત્મિક ગુરુ શૈલેષદાદા પંડિતજીનો અભિવાદન સમારોહ અને આંતરરાષ્ટ્રીય સાહિત્યકાર માયાભાઈ આહિર અને લોકપ્રિય યુવા લોકગાયક પરેશદાન ગઢવીનો સંતવાણી કાર્યક્રમ યોજાશે.
ધર્મસભામાં ગોરખનાથ આશ્રમ જૂનાગઢના મહંત અને હિન્દૂ હૃદયસમ્રાટ શેરનાથજીબાપુ ગુરુ ત્રિલોકનાથજી બાપુ, 1008 ખોડિયાર પીઠાધિશ્વર એવમ્ મહામંડલેશ્વર પૂ. ગરીબરામબાપુ (નાની ખોડિયાર, વરતેજ), 1008 અંબિકા પીઠાધિશ્વર એવમ્ મહામંડલેશ્વર પૂ. રમજુબાપુ (શ્રીઅંબિકા આશ્રમ, સાંગાણા), મહંત પૂ. આત્માનંદ સરસ્વતીજી (શ્રી ભજનાનંદ આશ્રમ, બોટાદ), 1008 મહામંડલેશ્વર પૂ.જીણારામબાપા (શ્રી બા સાહેબની જગ્યા, સિહોર), મહંત પૂ. રામચંદ્રદાસજી બાપુ (તપસીબાપુની વાડી, ભાવનગર), મહંત પૂ. રામબાપુ (શ્રી ઠાકર મંદિર, બાવળિયાળી ધામ),મહંત પૂ. નીરૂબાપુ (શ્રી દાનેવ આશ્રમ,સણોસરા ),મહંત પૂ. રવુબાપૂ (શ્રી વાંકીયા હનુમાન આશ્રમ, આંબલા) ,મહંત ધોકારામ બાપુ શ્રી ગણેશ આશ્રમ, સિહોર),મહંત શ્રીરામદાસ બાપુ(શ્રી ઓમનાથ મહાદેવ, ચૌદ નાળા, ભાવનગર), અવધીશાનંદ ભારતી બાપુ (શ્રી મામાપીરની જગ્યા, સુખપર), મહંત વિલાસગીરી બાપુ પડઘલિયા મહાદેવ, હાથબ) ઉપસ્થિત રહી આશિર્વચન આપશે અને ધર્મસભાને સંબોધિત કરશે. ધર્મસભા બાદ વિશ્વ શાંતિ અને લોક કલ્યાણ અર્થે 41 દિવસ સુધી સતત મહાહોમાત્મક અને અનુષ્ઠાન કરનાર શક્તિ ઉપવાસક એવમ્ આધ્યાત્મિક ગુરુ શૈલેષદાદા પંડિતજીનો અભિવાદન સમારોહ યોજાશે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સાહિત્યકાર માયાભાઈ આહિર અને યુવા લોકપ્રિય ગાયક પરેશદાન ગઢવી સંતવાણી રેલાવશે. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી આર.સી. મકવાણા સહિત સાધુ સંતો, રાજકીય, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, ભાજપ પ્રદેશ ઉપાઘ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે, મેયર કીર્તિબેન દાણીધારીયા સહિતના રાજકીય મહાનુભાવો અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, ભાવનગર એસ.પી. ડો. રવિન્દ્ર પટેલ, રાજકોટ (ગ્રામ્ય) એસ.પી.જયપાલસિંહ રાઠોડ, ભાવનગર એ.એસ.પી સફીન હસન સહિતના અધિકારીઓ સાથે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

Previous articleપાલીતાણાની ડુંગરપુર પ્રાથમિક શાળામાં જ્યોતિરાવ ફુલેની જન્મ જયંતિની ઉજવણી કરાઈ
Next articleમહારાજ કુમાર ધર્મકુમારસિંહજીના 105માં જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરાશે