પહેલીવાર ભારત આવશે બ્રિટિશ PM બોરિસ જૉનસન

40

રાજધાની દિલ્હી નહીં ગુજરાતથી શરૂ કરશે પ્રવાસ : બોરિસ જૉનસન ૨૧ અને ૨૨ એપ્રિલના રોજ ભારતમાં રહેશે : તેઓ મોટા રોકાણોની જાહેરાત કરે તેવી શક્યતા
લંડન, તા.૧૭
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન ભારત આવી રહ્યા છે. તેઓ ૨૧ અને ૨૨ એપ્રિલ બે દિવસ માટે ભારત આવશે. સામાન્યપણે વિદેશથી આવતા મહેમાનો પહેલા રાજધાની દિલ્હીની મુલાકાત લેતા હોય છે પરંતુ બોરિસ જોનસન પોતાના પ્રવાસની શરુઆત ગુજરાતથી કરવાના છે. ગુરુવારના રોજ તેઓ ગુજરાત આવશે અને તેઓ અહીં અનેક મહત્વના ઉદ્યોગોમાં રોકાણની જાહેરાત કરી શકે છે. શુક્રવારના રોજ નવી દિલ્હીમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન હોવાની સાથે સાથે ગુજરાત બ્રિટનમાં મોટી સંખ્યામાં વસતા લોકોનું પણ વતન છે. ભારત પ્રવાસ પહેલા બોરિસ જૉનસને જણાવ્યું કે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર તરીકે ઓળખાતું ભારત અત્યારે અનિશ્ચિત સમયમાં બ્રિટન માટે અત્યંત મહત્વનું ભાગીદાર છે. બોરિસ જોનસન યુક્રેન પર રશિયાના હુમલા પછી ભારત આવનારા યૂરોપના પ્રથમ રાષ્ટ્ર અધ્યક્ષ છે. થોડા સમય પહેલા જ બોરિસ જોનસને યુક્રેનની ગુપ્ત મુલાકાત લીધી હતી. તેમણે રાજધાની કીવમાં રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી અને મજબૂત સમર્થનનું વચન આપ્યુ હતું.ભારત પ્રવાસનું મહત્વ દર્શાવતા બોરિસ જૉનસને કહ્યું કે, આજે અમે અમુક નિરંકુશ દેશો તરફથી શાંતિ અને સમૃદ્ધિના જોખમનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે લોકતંત્ર ધરાવતા મિત્ર દેશો એકજૂટ રહે. નોંધનીય છે કે ગયા મહિને બ્રિટનના વિદેશ મંત્રી લિઝ ટ્રસે ભારતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બન્ને દેશો વચ્ચે વેપાર મુખ્ય વિષયોમાંથી એક હતો. ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ પર વાર્તાલાપ થઈ ચૂક્યો છે. બોરિસ જૉનસને કહ્યું કે, રોજગાર અને આર્થિક વિકાસથી લઈને ઉર્જા સુરક્ષા અને રક્ષા બાબતે ભારત પ્રવાસ દરમિયાન વાત કરવામાં આવશે. બ્રિટનના વડાપ્રધાન તરીકે આ બોરિસ જૉનસનની પ્રથમ ભારત યાત્રા છે. ગત વર્ષે નવેમ્બર મહિનામાં ગ્લાસગો ખાસે ગ્લોબર વોર્મિંગ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને બોરિસ જૉનસનની મુલાકાત થઈ હતી. ગત વર્ષે તેમનો ભારત પ્રવાસ બે વાર કેન્સલ થઈ ગયો હતો.

Previous articleવડાપ્રધાન મોદી આજથી ૩ દિ’ ગુજરાતના પ્રવાસે
Next articleસોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે હુબલીમાં થયેલો હંગામો