તાલાલા સહિતના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા

172

પશુ-પક્ષીઓના વર્તનમાં ફેરફાર જોવા મળ્યો હતો, ૧૩ કિલોમીટરના અંતરમાં ભૂકંપના આંચકાની અનુભૂતિ થઈ હતી
રાજકોટ,તા.૨
આજે સવારે ફરી એકવાર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે સૌરાષ્ટ્રના ગીર સોમનાથના ગામોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. હજુ સુધી ભૂકંપના કારણે જાન-માલનું નુકસાન થયાની વિગતો સામે આવી નથી. આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી મોટી કુદરતી હોનારત ટળી છે. આ મામલે સિસ્મોલોજી સેન્ટર દ્વારા વધારે તપાસ બાદ મહત્વની વિગતો સામે આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. પ્રાણીઓમાં પણ ભૂકંપના આંચકાની અસર દેખાઈ હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્‌સ મુજબ ૨ મેના રોજ સવારે ૬.૫૮ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૦ નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ તાલાલાથી ઉત્તરપૂર્વમાં ૧૩ કિલોમીટર દૂર નોંધાયું હોવાની વિગતો મળી રહી છે. ગીર સોમનાથના તાલાલા સહિતના કેટલાક ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગીર સોમનાથના તાલાલા સહિત ગીરના ધાવા અને આસપાસના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે ભૂકંપના આંચકા આવતા લોકો સફાળા જાગી ગયા હતા. મહત્વનું છે કે જ્યાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યાંથી સાસણ ગીર અને સોમનાથ નજીકમાં આવેલા છે જોકે, અહીં સુધી ભૂકંપના આંચકાનો અનુભવ થયો નહોતો. સવારમાં ભૂકંપના આંચકા આવતા લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા અને ચક્કર આવતા હોય તેવી અનુભૂતિ થતા લોકો ઘરના બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી ઊંચી ઈમારતો કે મકાનને કોઈ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું નથી. લોકોનો ઉઠવાનો સમય હતો ત્યારે ભૂકંપના આંચકા આવતા ઘણાં લોકોને ચક્કર આવતા હોય અને અશક્તિનો અનુભવ થતો હોય તેવું લાગ્યું હતું. જોકે, ભૂકંપની હોવાનું માલુમ પડતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. પશુઓમાં પણ ભૂકંપના આંચકાની અસર જોવા મળી હતી. ખૂંટીએ બાંધેલા અને વાડામાં રાખેલા પશુઓનું ભૂકંપના કારણે વર્તન બદલાયેલું જોવા મળ્યું હતું.

Previous articleભારતમાં આ વખતે ગરમીનો પારો ૫૦ ડીગ્રી પર પહોંચવાનો અંદાજ
Next articleકેનેડામાં સરદાર પટેલની પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું