સિહોરની વાગદત્તા સાથે ભાવી ભરથારે આચર્યું દુષ્કર્મ

71

પંચમહાલ પંથકમાં ભાવી ભરથારને ત્યાં માતા-પિતા સાથે ગયેલી સગીરાને આંબાવાડીમાં ખેંચી જઇ શખ્સે કરેલું કૃત્ય
સિહોરની સગીરા સાથે તેના ભાવી ભરથારે બળજબરીપૂર્વક આંબાવાડીમાં ખેંચી જઇ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ પંચમહાલ પંથકમાં બન્યો હોવાથી સિહોર પોલીસે ૦ નંબરથી ફરિયાદ લઇ સંબંધિત પોલીસ મથકને મોકલી આપી હતી. આ ચકચારી બનાવ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ સિહોરમાં રહેતા ફરિયાદીએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેની ૧૭ વર્ષની દિકરીનું વેવિશાળ નવરંગપુરા, ખાખરીયા વાડી-હાલોલ, પંચમહાલ ખાતે રહેતા યુવાન સાથે કર્યું હતું. દરમિયાનમાં તેઓ પરિવાર સાથે પંચમહાલ જમાઇને ત્યાં ગયા હતા ત્યારે તેની સગીર દિકરી સાથે બળજબરી કરી આંબાવાડીમાં લઇ જઇ સગીરાના ભાવી ભરથારે જ દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે આ બનાવના બે દિવસ બાદ ફરી વખત આ પ્રકારે જ કૃત્ય કર્યું હતું અને સગીરાના માતા-પિતાને મારી નાખવા ધમકી આપી હતી. આ બનાવ અંગે સગીરાના પિતાએ તેના વેવાઇને ફરિયાદ કરતા તેઓએ પણ ઉશ્કેરાઇ જઇ અને ઝઘડો કરી જીવતા દાટી દઇશુ તે પ્રકારે ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનારે સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે ૩૭૬ સહિતની કલમો તળે ગુનો નોંધી ફરિયાદ સંબંધિત પોલીસ મથકને મોકલી આપી હતી.

Previous articleવેપારીએ બાઇકના હેંડલમાં ટીંગાડેલ ૧.૩૪ લાખ રોકડની થેલીની ઉઠાંતરી
Next articleવલભીપુર પાલિકામાં કમિટીના ચેરમેનો માત્ર નામના ; ‘વહીવટ’માં અધિકારી રાજ !