પેવર રોડ તથા પેવિંગ બ્લોક,આર.સી.સી. રોડના આશરે રૂ. ૮ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરતાં શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી

83

આખલોલ જકાતનાકા પાસે રૂ. ૧.૨૬ કરોડના ખર્ચે બનનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પણ ખાતમુહુર્ત કર્યું વિકાસની નવી તરાહને કારણે ભાવનગરનો વિકાસ આભને આંબી રહ્યો છે-શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘણી
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગઈકાલે સાંજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં બનેલાં વિવિધ રસ્તાના મેટલ ગ્રાઉટીંગનું કામ, બિટુમીન પેવર રોડ તથા પેવિંગ બ્લોકના આશરે રૂ. ૮ કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત રૂ. ૧.૨૬ કરોડના ખર્ચથી આખલોલ જકાતનાકા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પણ ખાતમુહુર્ત કર્યું હતું. આ અંતર્ગત તેમણે રૂ.૨૨૯ લાખના ખર્ચે બનનાર કાળીયાબીડ-સીદસર- અધેવાડા વોર્ડના વિવિધ રસ્તાનું મેટલ ગ્રાઉટીંગનું કામ, બિટુમીન પેવર રોડ તથા પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે નિર્મળનગર વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ ૪૨.૫૦ લાખના ખર્ચે પેવિંગ બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
અક્ષર પાર્ક સોસાયટીમાં શેરી નંબર ૧ થી ૨૯ માં રૂ. ૧.૭૫ કરોડના ખર્ચે બનનાર પેવર રોડના કામોનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે આ ઉપરાંત કુંભારવાડા, ભાયાણીની વાડી, હાદાનગર, ચિત્રા-નારી- ફુલસર વોર્ડમાં વિવિધ આર.સી.સી. અને પેવ બ્લોકના રોડનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. રૂ. ૧.૨૮ કરોડના ખર્ચથી ગૌતમનગર, શિવશક્તિ સોસાયટી, ઇન્દિરાનગર ભાવના સોસાયટી, આણંદજી પાર્કમાં આર.સી.સી. રોડના કામોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. ભાવનગરના નારી ગામ ખાતે રૂ.૬૧ લાખના ખર્ચે બનનાર રબર મોલ્ડ પેવિગ બ્લોક રોડ તથા ૧.૪૧ કરોડના ખર્ચે બનનાર આર.સી.સી. રોડનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ તકે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, ભાવનગરના વિવિધ વિસ્તારોમાં પહેલા રોડ, રસ્તા, ગટર, નહોતી. આજે સોસાયટીઓ સી.સી.રોડની માંગણી કરે છે. જે બતાવે છે કે, ભાવનગરની વિકાસયાત્રા ઝડપભેર આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે, લોકોનું જીવનધોરણ સુધારવા સેવાભાવથી રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. આપણી આસપાસમાં પહેલાં કરતાં જે સુધારા આવે છે તેને આધારે વિકાસ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોઈ શકાય છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની નવી આધારશિલાઓ નાંખી, સમાજ જીવનની નવી વ્યવસ્થાઓ સુવિકસિત કરી છે. ભાવનગરના મહત્વના પ્રોજેકટ સિવાય ભાવનગરમાં રૂ.૫૦૦ કરોડના વિકાસ કર્યો સાકાર થઇ રહ્યાં છે.
બોરતાળવમાં રૂ.૧૪૮ કરોડના ખર્ચે સૌની યોજના દ્વારા નર્મદાના નીર હિલોળા લઈ રહ્યાં છે તેમ વધુમાં તેમણે ઉમેર્યું હતું. આ બધાં મોટા પ્રોજેકટ નથી. નાના-નાના પ્રોજેકટ છે. જેમાં આટલી મોટી રકમ વપરાય છે. જે વિકાસને નવી ઊંચાઈ સુધી લઈ જશે. કોર્પોરેશનને કેન્દ્ર અને રાજ્ય સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ સીધેસીધી મળે છે તેના કારણે આ બધો કાયાકલ્પ થયો છે તેમ તેમણે જણાવ્યું હતું. આ તકે મેયર કીર્તિબેન દાણીધારીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે ભાવનગરના વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ આપી છે. જેનાથી ભાવનગરનો વિકાસ દીપી ઉઠ્‌યો છે. ભાજપાના શહેર પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યાએ જણાવ્યું કે, વિકાસને લઇને કાળીયાબીડ,વડવા-બ જેવા અનેક વિસ્તારો આજે વિકાસથી ધમધમી રહ્યાં છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિશ્વ સમસ્ત ભારતનું નેતૃત્વ અને નીતિ સ્વીકારવા લાગ્યું છે. તેમણે જણાવ્યું કે, લોકોના જીવન ધોરણમાં સુધારો આવે તે અમારી વિકાસની પરિભાષા છે. લોકોની આકાંક્ષાઓની પૂર્તિ કરવી એ અમારું ધ્યેય છે. આ તકે સ્ટેન્ડીગ કમિટિના ચેરમેન ધીરૂભાઇ ધામેલિયા, મહામંત્રી અરૂણભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી શિશિરભાઈ, શાસક પક્ષના નેતા બુધાભાઈ સહિતનાં મહાનુભાવો, અધિકારીઓ તેમજ વોર્ડના આગેવાનો અને વિસ્તારનાં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં

Previous articleમહાપાલિકાએ ડબે પુરેલા ૫૦૦ ઢોર અમદાવાદની ગૌશાળાને મોકલાશે
Next articleભરતનગર પોલીસ સ્ટેશનનું રવિવારે થશે લોકાર્પણ, કાળીયાબીડની માંગ ઠેરનીઠેર