ફ્યુચર સામેના કેસમાં એમેઝોનને ૨૦૦ કરોડનો દંડ ભરવા આદેશ

35

રિલાયન્સ સાથે ૨૪,૭૧૩ કરોડનો વેચાણ કરાર કરી ૨૦૧૯માં રોકાણ કરારનું ઉલ્લંઘન કર્યાનો એમેઝોનનો દાવો
નવી દિલ્હી, તા.૧૩
એનસીએલએટીએ સોમવારના રોજ એમેઝોનની (એમેઝોન) અરજી ફગાવી દીધી છે જેમાં સીસીઆઈના આદેશને પડકાર આપવામાં આવ્યો હતો. સીસીઆઈએ પોતાના આદેશમાં ફ્યુચર કૂપન સાથે એમેઝોનના કરારની મંજૂરીને સસ્પેન્ડ કરી દીધી હતી. ન્યાયમૂર્તિ એમ વેણુગોપાલ અને અશોક કુમાર મિશ્રાની ૨ સદસ્યો ધરાવતી પીઠે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ સીસીઆઈના નિર્ણયને અકબંધ રાખ્યો છે. સાથે જ એમેઝોનને એવો નિર્દેશ આપવામાં આવ્યો છે કે, તે સોમવારથી ૪૫ દિવસની અંદર નિષ્પક્ષ વ્યાપાર નિયામક દ્વારા ઈ-કોમર્સ કંપની પર લગાવવામાં આવેલા ૨૦૦ કરોડ રૂપિયાના દંડને જમા કરાવે. ટ્રિબ્યુનલે સ્વીકાર્યું કે, એમેઝોને આયોગ સમક્ષ આ કરારનો સંપૂર્ણ ખુલાસો નહોતો કર્યો. પીઠે જણાવ્યું કે, આ એનસીએલએટી આ મામલે સીસીઆઈ સાથે સંપૂર્ણપણે સહમત છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં સીસીઆઈએ ફ્યુચર કૂપન પ્રા. લિ. (એફસીપીએલ)માં ૪૯% ભાગીદારી મેળવવા માટે એમેઝોન દ્વારા કરવામાં આવેલા કરાર માટે તેમણે વર્ષ ૨૦૧૯માં જે મંજૂરી આપી હતી તેને સસ્પેન્ડ કરી દીધી હતી. સાથે જ ૨૦૨ કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. એમેઝોન દ્વારા તેના સામે એનસીએલએટીમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. ફ્યુચર કૂપન્સ પ્રા. લિમિટેડ એ ફ્યૂચર રિટેલ લિમિટેડ (એફઆરએલ)ની પ્રમોટર છે. ઓક્ટોબર ૨૦૨૦માં એમેઝોન આ કેસને સિંગાપુર મધ્યસ્થતા કેન્દ્ર ખાતે લઈ ગયું હતું અને ત્યારથી બંને કંપનીઓ વચ્ચે કાયદાકીય લડાઈ જામી છે. એમેઝોનના કહેવા પ્રમાણે એફઆરએલએ રિલાયન્સ જૂથની કંપની રિલાયન્સ રિટેલ સાથે ૨૪,૭૧૩ કરોડ રૂપિયાનો વેચાણ કરાર કરીને વર્ષ ૨૦૧૯માં તેમના સાથે થયેલા રોકાણ કરારનું ઉલ્લંઘન કર્યું છે.

Previous articleગુજરાતમાં ૨૪ કલાકમાં ૯૧ તાલુકામાં વરસાદ નોંધાયો
Next articleરાહુલ ગાંધીની પ્રોપર્ટી-નાણાકીય વ્યવહારો સંદર્ભે પુછપરછ થઈ