બોટાદ-ગાંધીગ્રામ બ્રોડગેજ ટ્રેનને PMના હસ્તે લીલી ઝંડી

18

બોટાદ ખાતે અંદાજે રૂ. ૧૫૫૦ કરોડના ખર્ચે ૧૭૦ કિમી લાંબા રૂટના ગેજ રૂપાંતરણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું દર વર્ષે ૫૦ લાખ મુસાફરો ટ્રેનમાં યાત્રા કરે છે, રોજ ૨ ટ્રેન બોટાદથી અમદાવાદ તેમજ અમદાવાદથી બોટાદ રવાના થશે
ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વડોદરા ખાતેથી ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ મળી છે. આ કાર્યક્રમ સાથે સાથે બોટાદ-ગાંધીગ્રામ બ્રોડગેજ ટ્રેનને વડાપ્રધાનના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી. અંદાજે રૂ. ૧૫૫૦ કરોડના ખર્ચે ૧૭૦ કિમી. લાંબા રૂટના ગેજ રૂપાંતરણ પ્રોજેક્ટનું શનિવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. બોટાદ રેલવે સ્ટેશન પર યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળ તેમજ ધારાસભ્ય સૌરભભાઇ પટેલની ઉપસ્થિતિમાં બોટાદથી ગાંધીગ્રામ સુધીની ટ્રેનનું ફ્લેગઓફ કરવામાં આવ્યું હતું.

બોટાદથી અમદાવાદ સુધીની બ્રોડગેજ ટ્રેન શરૂ થતાં હવે સમગ્ર વિસ્તારના વિકાસના દ્વાર ખુલશે. વડાપ્રધાને સુવિધાની સાથોસાથ સલામતી પર પણ ભાર મુક્યો છે જેના પગલે રાજ્યના તમામ રેલવે સ્ટેશન નવીન, સ્વચ્છ તેમજ આધુનિક બન્યા છે. બોટાદ ખાતે બ્રોડગેજ ટ્રેનનો પ્રારંભ થતા હવે અહીંથી લાંબા અંતરની ટ્રેનમાં પણ વધારો થશે. બોટાદથી અમદાવાદ સુધી બ્રોડગેજ ટ્રેનની સુવિધા શરૂ થતાં હવે નાગરિકોનો સમય બચશે અને સુવિધા વધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ધુરા સંભાળી ત્યારથી તમામ ક્ષેત્રે આમૂલ પરિવર્તનો થયા છે.
મોદીએ સાંસદો પાસેથી પણ તેમના મત વિસ્તારમાં વિકાસ કાર્યો સક્રિય રીતે થાય તે બાબત સુનિશ્ચિત કરી છે. મોદીની આગેવાનીમાં દેશભરમાં સુવિધાઓ વધી છે હવે ચારધામની યાત્રા પણ સરળ બની છે. બોટાદ ખૂબ જ વ્યસ્ત સ્ટેશન છે. દર વર્ષે ૫૦ લાખ મુસાફરો ટ્રેનમાં યાત્રા કરે છે. જેથી આ બ્રોડગેજ ટ્રેન શરૂ થતાં હવે મુસાફરોની સુવિધામાં વધારો થશે. દરરોજ ૨ ટ્રેન સવાર-સાંજ બોટાદથી અમદાવાદ તેમજ અમદાવાદથી બોટાદ રવાના થશે.

Previous articleએક જુલાઇથી બદલાઇ જશે ઓનલાઇન પેમેન્ટની પદ્ધતિ
Next articleરાણીગામ-ગારિયાધાર રોડની બિસ્માર હાલત, અકસ્માતોની ઘટનામાં વધારો