આરટીઇ પ્રવેશ અંગે બાકી રહેલ જગ્યા માટે ચોથો રાઉન્ડ જાહેર

16

આજથી ૩ દિવસ શાળા પુનઃ પસંદગી કરી શકાશે : ૩ રાઉન્ડના અંતે શહેરમાં ૧૦૫૮ માંથી ૧૦૪૮ વિદ્યાર્થીઓએ એડમીશન કન્ફર્મ કર્યા
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ચાલુ વર્ષની પ્રવેશ પ્રક્રિયાના ત્રણ રાઉન્ડના અંતે શહેરમાં ફાળવેલ ૧૦૫૮ પ્રવેશમાંથી ૧૦૪૮ વિદ્યાર્થીના એડમીશન કન્ફર્મ થવા પામી છે. જ્યારે બાકી વધેલ ૧૦ સીટ માટે આજે ચોથો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ અંતર્ગત બાળકને શૈક્ષણિક વર્ષ-૨૦૨૨-૨૩ની પ્રવેશ પ્રક્રિયા માટેનો બીજો અને ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવેલ હતો. જેમાં ભાવનગર શહેરની ખાનગી શાળાઓમાં ૧૦૫૮ બાળકોને પ્રવેશ ફાળવવામાં આવેલ હતો. જે પૈકી ૧૦૪૮ વિદ્યાર્થીઓના એડમિશન કન્ફર્મ થયેલ છે અને ૧૦ જગ્યાઓ ખાલી રહેવા પામેલ. જે વિદ્યાર્થીની અરજી જિલ્લા કક્ષાએ મંજુર થયેલ હોય અને આરટીઇ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ, બીજા અને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનીત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે. જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આરટીઇ હેઠળ પ્રવેશ આપી શકાય. જે વિદ્યાર્થીઓ આરટીઇ હેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ તા.૧૯-૬ રવિવાર થી તા.૨૧-૬ મંગળવાર સુધીમાં આરટીઇના વેબ પોર્ટલ પર જઇ લોગ ઇન કરી શાળાઓની પુનઃ પસંદગી કરવાની રહેશે.

Previous articleચિત્રા – સિદસર રોડ ઉપર ૨ બાઈક સામ-સામી અથડાતા યુવકનું મોત
Next articleભાવનગર જિલ્લામાં આજે એક સાથે ૮ કોરોનાનો નવા કેસ નોંધાતા ફફડાટ