છેલ્લા ૨૪ કલાકમાં ૩૮ દર્દીઓના મોત : દેશમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ લોકોના મોત
નવી દિલ્હી, તા.૨૩
ભારતમાં કોરોના રોગચાળાએ ફરી એકવાર જોર પકડ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩,૩૧૩ નવા કેસ નોંધાયા છે. તે જ સમયે ૩૮ લોકોના મોત થયા છે. દેશમાં સક્રિય કેસ વધીને ૮૩ હજારથી વધુ (૮૩,૯૯૦ કેસ) થઈ ગયા છે. અગાઉ એટલે કે ૨૨ જૂને દેશભરમાં કોરોના સંક્રમણના ૧૨૨૪૯ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૧૩ લોકોના મોત થયા છે. જે પાંચ રાજ્યોમાં કોવિડની સ્થિતિ ચિંતાજનક છે તેમાં કેરળ (૪,૨૨૪), મહારાષ્ટ્ર (૩,૨૬૦), દિલ્હી (૯૨૮), તમિલનાડુ (૭૭૧) અને ઉત્તર પ્રદેશ (૬૭૮)નો સમાવેશ થાય છે. કુલ નવા કેસોમાંથી ૭૪.૦૭ ટકા આ પાંચ રાજ્યોમાંથી આવ્યા છે. તે જ સમયે, કુલ નવા કેસોમાં ફક્ત કેરળનો હિસ્સો ૩૧.૭૩ ટકા છે. કોવિડને કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૩૮ દર્દીઓના મોત થયા છે. દેશમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં પાંચ લાખ (૫,૨૪,૯૪૧) થી વધુ લોકોના મોત થયા છે. દેશમાં કોવિડમાંથી રિકવરી રેટ ૯૮.૬ ટકા છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૯૭૨ દર્દીઓએ કોવિડને માત આપી છે. હાલમાં દેશમાં કોવિડના ૮૩,૯૯૦ સક્રિય કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨,૩૦૩ સક્રિય કેસ વધ્યા છે. કોવિડ રસી વિશે વાત કરીએ તો ગઈકાલે ૧૪ લાખ (૧૪,૯૧,૯૪૧) થી વધુ કોવિડ રસી આપવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધીમાં ૧૯૬ કરોડથી વધુ (૧,૯૬,૬૨,૧૧,૯૭૩) કોવિડ રસી લગાવવામાં આવી છે. ગઈકાલે દેશમાં કોવિડના ૩ લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.