કેબિનેટમાંથી શિવસેનાના બાગી મંત્રીઓની હકાલપટ્ટી

8

સરકારમાં શિવસેનાના ચાર કેબિનેટ મંત્રી, સીએમ સહિત આદિત્ય ઠાકરે, અનીલ પરબ, સુભાષ દેસાઈનો સમાવેશ
મુંબઈ, તા.૨૭
હાલ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય કટોકટી વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરેએ પોતાની કેબિનેટમાં ફેરબદલ કર્યા છે, જેમાં બળવાખોર મંત્રીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ સિવાય આજના મહત્વના અપડેટ્‌સમાં ઈડી દ્વારા શિવસેનાના સાંસદ સંજય રાઉતને મની લોન્ડ્રિંગના કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું છે. શિવસેનાના બળવાખોરો દ્વારા ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝીરવાલ દ્વારા ઈશ્યૂ કરાયેલી ડિસક્વોલિફિકેશન નોટિસ વિરુદ્ધ કરવામાં આવેલી પિટિશન પર સુપ્રીમ કોર્ટમાં પણ આજે સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે બળવાખોરોને રાહત આપતા ૧૨ જુલાઈ સુધી આ અંગે કોઈ નિર્ણય ના કરવા તેમજ બળવાખોર નેતાઓના પરિવારજનોને સુરક્ષા પૂરી પાડવા નિર્દેશ કર્યા હતા. એકનાથ શિંદેની આગેવાનીમાં બળવાખોરોએ પોતાની પિટિશનમાં જણાવ્યું હતું કે, તેઓ એમવીએ સરકારને પોતાનો ટેકો પાછો ખેંચે છે. આ સાથે જ, ઉદ્ધાવ ઠાકરેની મહાવિકાસ આઘાડી સરકારે બહુમતી ગુમાવી દીધી છે. એકનાથ શિંદેએ શિવસેનાના ૩૮ ધારાસભ્યો સાથે બળવો કર્યો છે, અને હાલ તમામ ગુવાહાટીની હોટેલમાં રોકાયેલા છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેએ આકરું વલણ અપનાવતા બળવાખોર મંત્રીઓને બહારનો રસ્તો બતાવી દીધો છે. તેમના મંત્રાલયનો ચાર્જ અન્ય મંત્રીઓને આપી દેવામાં આવ્યો છે. બળવા બાદ ગઠબંધન સરકારમાં શિવસેનાના ચાર કેબિનેટ મંત્રી રહ્યા છે, જેમાં સીએમ સહિત આદિત્ય ઠાકરે, અનીલ પરબ અને સુભાષ દેસાઈનો સમાવેશ થાય છે. જેમાં આદિત્ય ઠાકરે સિવાયના બે મંત્રી એમએલસી છે. છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય કટોકટી વચ્ચે બળવાખોરોએ આક્ષેપો કરવાનું હજુય બંધ નથી કર્યું. શિંદે કેમ્પના ધારાસભ્ય દીપક કેસરકરે આજે એક ઓપન લેટર ટ્‌વીટ કર્યો છે. જેમાં તેમણે સંજય રાઉત પર સીધો આક્ષેપ કરતા લખ્યું છે કે, શરદ પવારના ઈશારે તેઓ શિવસેનાને ખતમ કરવામાં લાગેલા છે. તેમણે લખ્યું છે કે એનસીપીના નેતા રાઉતના ખભે મૂકીને બંદૂક ચલાવી રહ્યા છે, પરંતુ મહારાષ્ટ્રને નવી ઉંચાઈ પર ના લઈ જઈએ ત્યાં સુધી અમે ખતમ નહીં થઈએ, અમે રોકાઈશું નહીં તેમજ પાછીપાની પણ નહીં કરીએ. સોમવારે સુપ્રીમ કોર્ટે બળવાખોર કેમ્પની પિટિશન પર સુનાવણી કરતા ડેપ્યુટી સ્પીકર, મહારાષ્ટ્ર વિધાનસભાના સેક્રેટરી, કેન્દ્ર સરકાર અને અન્યોને નોટિસ મોકલી હતી. બળવાખોરોએ ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝીરવાલ દ્વારા એકનાથ શિંદે સહિત ૧૫ બળવાખોરોને ડિસ્ક્વોલિફાઈ કરવા ઈશ્યૂ કરેલી નોટિસની વિરુદ્ધ આ પિટિશન કરવામાં આવી છે. કોર્ટે શિવસેનાના નેતા અજય ચૌધરી, સુનીલ પ્રભુને નોટિસ મોકલી પાંચ દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. આ ઉપરાંત, કોર્ટે એમ પણ જણાવ્યું છે કે, ૧૨ જુલાઈ સુધી સુધી બળવાખોર ધારાસભ્યોને ડિસ્ક્વોલિફાઈ નહીં કરી શકાય. સૂત્રોનું માનીએ તો એકનાથ શિંદે આ સપ્તાહે મુંબઈ પરત ફરીને હાલની સ્થિતિનું નિરાકરણ લાવવા રાજ્યપાલ સાથે મુલાકાત કરી શકે છે. બળવાખોરોની માગ છે કે શિવસેના કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન તોડીને ભાજપને ટેકો આપે. જાણકારોનું કહેવું છે કે, બળવાખોરો પાસે હવે કોર્ટમાં જવા અને ગવર્નરની દખલગીરીની માગ કરવા સિવાય બીજા કોઈ ઓપ્શન નથી રહ્યા.

Previous articleશિંદે જૂથને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત
Next articleઆજે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમા અને યુવાનોના સમર્થનમા ભાવનગર ગ્રામ્ય વિધાનસભા કોંગ્રેસ દ્વારા સિહોરના વડલા ચોક ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાઈ ગયો……….