સંજય રાઉતને જમીન કૌભાંડ કેસમાં ઈડી સમક્ષ હાજર થવાની નોટિસ

4

સંજય રાઉતે ટિ્‌વટમાં લખ્યું કે, અમે સૌ બાલાસાહેબના શિવસૈનિકો મોટી લડાઈ લડી રહ્યા છીએ, આ ષડયંત્ર
મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતને ઈડીની નોટિસ મળી છે. સંજય રાઉતને ૨૮ જૂનના રોજ એટલે કે, આવતી કાલે ઈડીના કાર્યાલય ખાતે પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ જમીન કૌભાંડને લગતા એક કેસ મામલે ઈડીએ સંજય રાઉતને સમન્સ પાઠવ્યું છે. પ્રવીણ રાઉત તથા પાત્રા ચાલ જમીન કૌભાંડ સાથે સંકળાયેલા કેસ અંતર્ગત સંજય રાઉતને સમન મોકલવામાં આવ્યું છે. શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સંજય રાઉતને મોકલવામાં આવેલા સમન મામલે ઈડી પર નિશાન સાધ્યું છે. તેમણે ટિ્‌વટમાં લખ્યું હતું કે, ભાજપની પરમ ભક્તિનું સૌથી મોટું ઉદાહરણ રજૂ કરતું ઈડી ડિપાર્ટમેન્ટ. સંજય રાઉતે ટિ્‌વટમાં લખ્યું હતું કે, ઈડીએ મને સમન મોકલ્યું છે. અમે સૌ બાલાસાહેબના શિવસૈનિકો મોટી લડાઈ લડી રહ્યા છીએ. આ ષડયંત્ર ચાલી રહ્યું છે. ઈડીએ અગાઉ પ્રવીણ રાઉતની ધરપકડ કરી હતી. તે સંજય રાઉતનો નજીકનો માણસ હોવાનું માનવામાં આવે છે. ઈડીએ તાજેતરમાં જ પ્રવીણ રાઉત સાથે સંકળાયેલી ૧૧ કરોડની સંપત્તિ અટેચ કરી હતી.બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદેના જૂથની ૨ અલગ અલગ અરજીઓ પર સુનાવણી હાથ ધરાઈ છે.
એક અરજી એકનાથ શિંદેએ દાખલ કરી છે જ્યારે બીજી અરજી બળવાખોર ધારાસભ્ય ભરત ગોગાવલે તરફથી કરવામાં આવી છે. બંને અરજીઓમાં ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. સૌથી પહેલા તો એ નોટિસને પડકારવામાં આવી છે જેમાં ૧૬ બળવાખોરોની સદસ્યતા સમાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે શિંદેને નેતા પદેથી દૂર કરવા તથા અજય ચૌધરીને ચીફ વ્હિપ નિયુક્ત કરવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે.

Previous articleઆજે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમા અને યુવાનોના સમર્થનમા ભાવનગર ગ્રામ્ય વિધાનસભા કોંગ્રેસ દ્વારા સિહોરના વડલા ચોક ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાઈ ગયો……….
Next articleરાષ્ટ્રપતિ પદ માટે યશવંત સિંહાનું વિપક્ષી ઉમેદવાર તરીકે નામાંકન