રિલાયન્સ જિયોના ડાયરેક્ટર પદેથી મુકેશ અંબાણીનું રાજીનામું

8

નવેમ્બરમાં રિલાયન્સ ઈન્ડ.ના કારોબારના ભાગલાની વાત વહેતી થઈ હતી : આકાશને ડાયરેક્ટર પદ સોંપાયું : પંકજ મોહન પવારને મેનેજિંગ ડાયરેક્ટર, રમિન્દરસિંઘ-કેવી ચૌધરીની પાંચ વર્ષ માટે સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નિમણૂંક
મુંબઈ,તા.૨૮
ભારતના સૌથી મોટા ઉદ્યોપતિ અને એશિયાના સૌથી મોટા ધનકુબેર, રિલાયન્સ સમૂહના વડા મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. અંબાણીએ ૨૭મી જૂનના રોજ કંપનીના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે. અહેવાલ અનુસાર રિલાયન્સ જિયોના ચેરમેનનો પદભાર હવે પુત્ર આકાશ અંબાણી સંભાળશે. આકાશ જિયોના બોર્ડમાં હાલ નોન એક્ઝયુકિટીવ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. નવેમ્બર મહિનાના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના કારોબારના ભાગલા કરીને પુત્રો અને દિકરીને વહેંચીને તેઓ કુશળ કર્તાહર્તા બન્યા બાદ રિટાયરમેન્ટ લઈ શકે છે તેવા અહેવાલ વહેતા થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રિલાયન્સ જિયોએ નવા ચેરમેન તરીકે આકાશ અંબાણીના નામની સાથે પંકજ મોહન પવારને મેનેજિંગ ડાયરેક્ટર પદે નિમ્યાં છે. આ સાથે જિયોએ રમિન્દર સિંઘ અગ્રવાલ અને કેવી ચૌધરીને પણ પાંચ વર્ષ માટે સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નિમ્યાં છે.એક વખત વિભાજનનો કડવો ઘૂંટડો જોઈ ચુકેલા મુકેશ અંબાણી એટલે જ વિશ્વના ટોચના ઉદ્યોગો અને કુટુંબોએ કઈ રીતે સંપત્તિ આવનારી જનરેશનને મળે એની વ્યવસ્થાનો અભ્યાસ શરૂ કર્યો છે જેથી સંપત્તિ સર્જનની ગતિ અટકે નહી, વિભાજનની દર્દભરી કહાની ફરી કુટુંબમાં જોવા મળે નહિ. મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીના ત્રણ સંતાન છે – બે પુત્ર અને એક પુત્રી, જાણકારોના જણાવ્યા અનુસાર મુકેશ અંબાણી એવી રીતે સંપત્તિની વારસાઈ ઉભી કરી રહ્યા છે કે કોઈ એક વ્યક્તિને કોઈ ચોક્કસ સંપત્તિ આપવી પડે નહી. અંબાણી કુટુંબના વડા તરીકે પોતે એક ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ બનાવશે જેમાં અંબાણી પરિવારની લીસ્ટેડ અને અન્ય કોઇપણ મિલકતનું હોલ્ડીંગ ટ્રાન્સફર કરવામાં આવશે. આ ટ્રસ્ટમાં કુટુંબના સભ્યો, વર્ષોથી અંબાણી પરિવાર સાથે જોડાયેલા કેટલાક ચુનંદા લોકો અને બહારના નિષ્ણાતો હશે. ટ્રસ્ટનું મુખ્ય કામ દેખરેખ રાખવાનું હશે અને વ્યવસાયિક રીતે જોડાયેલા લોકો બિઝનેસ ચલાવશે.

Previous articleઅમેરિકા ટેક્સાસમાં એક જ ટ્રકમાંથી ૪૬ લોકોના મૃતદેહ મળી આવ્યા
Next articleહોટેલ રૂમ-હોસ્પિટલના રૂમ સહિતની વસ્તુઓ મોંઘી થશે