મહારાષ્ટ્ર રાજનીતિક સંકટ : ઉદ્ધવ સરકારે કાલે સાબિત કરવો પડશે વિશ્વાસમત

7

રાજ્યપાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું :રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી દ્વારા બહુમત પરિક્ષણ માટે ૩૦ જૂને બોલાવેલા મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્ર સામે ઉદ્ધવ ઠાકરે જૂથ સુપ્રીમ કોર્ટમાં જશે
મુંબઈ,તા.૨૯
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકારે કાલે એટલે કે ૩૦ જૂને વિશ્વાસમત સાબિત કરવો પડશે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આ માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. તેમાં એકમાત્ર એજન્ડા ફ્લોર ટેસ્ટ છે. કોશ્યારીએ મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવને ગુરુવારે સવારે ૧૧ કલાકે ઉદ્ધવ ઠાકરે સરકારને ફ્લોર ટેસ્ટ કરવા માટે કહ્યું છે. ગુવાહાટીમાં રહેલા એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો ગોવા શિફ્ટ થઇ શકે છે. જણાવી દઈએ કે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજીમાં કહ્યું છે કે મહાવિકાસ અઘાડી ગઠબંધને સદનમાં બહુમત ગુમાવી દીધું છે. શિંદેના મતે વિધાયક દળના ૩૮ સદસ્યોએ સરકારમાંથી પોતાનું સમર્થન પાછું લઇ લીધું છે. આવામાં ઉદ્ધવ ઠાકરે માટે સરકાર બચાવવી આસાન રહેશે નહીં. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે તે રાજ્યપાલના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપશે. સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા સંજય રાઉતે કહ્યું કે અમે રાજ્યપાલના ફ્લોર ટેસ્ટ બોલાવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જઇશું. આ એક ગેરકાયદેસર નિર્ણય છે કારણ કે અમારા ૧૬ ધારાસભ્યોની અયોગ્યતાનો મામલો સુપ્રીમ કોર્ટમાં હાલ પેન્ડિંગ છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે અને અન્ય ધારાસભ્યોએ ગુવાહાટીમાં આવેલા પ્રખ્યાત કામાખ્યા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. એકનાથ શિંદેએ કામાખ્યા મંદિરમાં પૂજા કર્યા પછી કહ્યું કે તે મહારાષ્ટ્રની શાંતિ અને ખુશી માટે પ્રાર્થના કરવા આવ્યા છે. ફ્લોર ટેસ્ટ માટે કાલે મુંબઈ જઇળ અને બધી પ્રક્રિયાઓનું પાલન કરીશ.

Previous articleબિહારમાં વીજળી પડવાથી એક જ દિ’માં ૨૨નાં મોત
Next articleGSTપેનલની ભલામણ સ્વીકારવામાં આવી, હવે દહીં,પનીર સહિતની વસ્તુઓ મોંઘી થશે