ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ અને મહિલા સત્સંગ મંડળના ઉપક્રમે રાજકોટ મહાનગરપાલિકાના નવા નિમાયેલા મેયર, ડેપ્યુટી મેયરનું બહુમાન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાના વડપણ હેઠળ મેયર બીનાબેન આચાર્ય અને ડે. મેયર અશ્વિનભાઈ મોલીયાનું પુષ્પગુચ્છ અર્પણ કરી વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું હતું. જીવનનગર સમિતિ છેલ્લા ૩૭ વર્ષથી રહીશોના ઉત્કર્ષ માટે સામાજિક, સેવાકીય, ઉત્સવો, રાષ્ટ્રીય ત્યૌહાર ઉપરાંત રાજય તેમજ કેન્દ્ર સરકારના વિકાસશીલ કાર્યક્રમોમાં ભાગ લઈ ઉતરદાયિત્વ બજાવે છે. અત્યારે સ્વચ્છતા અભિયાન સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ઉપર લીધેલ છે તેની વિગત રૂબરૂમાં પદાધિકારીઓને આપવામાં આવી હતી. મેયર બીનાબેન આચાર્ય અને ડે. મેયર અશ્વિનભાઈ મોલીયાએ શુભેચ્છા સ્વીકારી રહીશોના પ્રશ્નોના ઉકેલ માટે તત્પરતા બતાવી આભારની લાગણી બતાવી હતી જીવનનગરમાં બહેનોના જયાપાર્વતી વ્રતના જાગરણ નિમિત્તે કરાઓકે સંગીત સંધ્યાનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવશે તેમ જાહેરાત કરવામાં આવી હતી.