રાજ્યમાં ૨૦ જળાશયો હાઇ એલર્ટ પર, ૬ જળાશયો એલર્ટ પર મુકાયા

977

ગુજરાત રાજ્યમાં જે વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે ત્યાં જળાશયો છલકાવા લાગ્યા છે. રાજ્યના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ મગંળવારની સ્થિતિએ સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના ૨૦ જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે, કેમ કે આ તમામ જળાશયો સંપૂર્ણ ભરાઇ ચુક્યા છે. જ્યારે ૬ જળાશયો એલર્ટ પર મુકવામાં આવ્યા છે અને ૧૧ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું કંકાવટી, પુના, ઉન્ડ-૩ અને ફુલઝર-૧, ભાવનગરનું રોજકી, માલણ અને બાગડ, ગિર સોમનાથનું મચ્છુન્દ્રી, હિરણ-૧ અને હીરણ-૨, જૂનાગઢનું મધુવંતિ અને અંબાજળ, પોરબંદરનું અમીરપુર, તાપીનું દોસવાડા રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી એમ કુલ ૨૦ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજયના કુલ ૬ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૧૧ ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં આંકડાઓ મુજબ, ગુજરાતમાં મંગળવાર (૨૪ જુલાઇ)ની સ્થિતિએ સિઝનનો સરેરાશ ૫૩.૨૬ ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ ૭૧.૩૧ ટકા વરસાદ થયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં ૬૦ ટકા વરસાદ પડ્‌યો છે. સૌથી ઓછો વરસાદ કચ્છમાં થયો છે.  વરસાદના આંકડાઓ મુજબ, કચ્છમાં હજુ માત્ર ૧૧ ટકા જ વરસાદ જ પડ્‌યો છે. નર્મદા ડેમમાં હાલમાં ૧,૩૨,૯૮૦ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિની ૩૯.૮૦ ટકા છે. જયારે રાજયના કુલ ૨૦૪ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૩,૨૯,૫૪૪ એમ.સી.એફ.ટી. છે જે કુલ સંગ્રહ શક્તિના ૩૭.૦૦ ટકા છે.

Previous articleગુજરાતને ભણતું કરવા રૂપાણીએ ‘મિશન વિદ્યા’ લોન્ચ કર્યુ
Next articleતળાજાની આરાધ્યા વિદ્યાસંકુલમાં વૃક્ષારોપણ