ભંડારિયા ધાવડી માતાના મંદિરે શનિવારે યોજાશે ખીરના હવનનો વિશિષ્ઠ ઉત્સવ

1346

ભંડારિયા – મેલકડીની ગિરિમાળાઓમાં બિરાજમાન ધાવડી માતાજીના સાનિધ્યમાં પરંપરાગત ખીરના હવનનો વીશિષ્ટ ઉત્સવ દિવાસાના પર્વે તા. ૧૧ને શનિવારે યોજાશે. આ ઉત્સવમાં ગ્રામજનો અને ભાવિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈ સમુહમાં ખીરનો પ્રસાદ લેશે. હાલ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે પરમેશ્વરના સાંનિધ્યમાં પ્રકૃતિનો ખોળો ખુંદવાનો અનેરો અવસર છે.!

ધાવડીમાતાનું સ્થાનક લાખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે અને ભાવિકોને મન ચમત્કારીક મનાય છે. અહીં માતાજીના સાનિધ્યમાં ખીરનો હવન કરવાની પરંપરા ૧૦૦ વર્ષ કરતા પણ પુરાણી છે. જે તે સમયે ગંભીર પ્રકારનો રોગચાળો ફાટી નિકળતા તે સમયે સૌ ગ્રામજનોએ માતાજીને અરજ કરતા રક્ષણ થયેલ અને ત્યારથી ખીરના હવનની પ્રથા શરૂ થઈ હોવાની લોકવાયકા સાંભળવા મળે છે. આજે પણ ગામના અઢારેય વરણના લોકો માતાજીને પુરા શ્રદ્ધા અને ભાવથી માને છે. ખરીનો હવનએ શ્રધ્ધા અને ભાવનું પ્રતિક છે. ઉપરાંત ગ્રામજનોની એકતાનું ઉદાહરણ પણ કહી શકાય. ખીરના હવનના દિવસે સૌ ગ્રામજનો મંદિરના પટ્ટાગણમાં એકત્ર થઈ સમુહમાં ખીરનો પ્રસાદ આરોગે છે. આ હવનની બીજી એક વિશિષ્ટતા એ છે કે આ દિવસે માત્રને માત્ર ખીર જ બને છે, બીજું કાંઈ નહીં ! પ્રતિવર્ષ દિવાસાના પર્વે માતાજીના સાનિધ્યમાં ખીરના હવનનો ઉત્સવ યોજાય છે. જેમાં પશુપાલકો દુધ અને અન્ય ગ્રામજનો – ભાવિકો યથાશક્તિ આર્થિક સહયોગ કરે છે. આમ, વર્ષો જુની આ પરંપરા આજે પણ પુરા ભાવ અને ઉત્સાહથી જળવાઈ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં લગભગ બીજે કયાંય આ રીતે ખીરના હવનની પરંપરા નથી ! ચોમાસાના દિવસોમાં મેલકડીની ગિરીકંદરાઓ ખીલી ઉઠી છે. અને હરિયાળી આંખોને ટાઢક આપી રહી છે ત્યારે પ્રકૃતિ અને પરમેશ્વર મેળાપ થયો હોય માતાજીના દર્શન અને પ્રકૃતિનો ખોળો ખુંદવાની યાત્રાળુઓને પણ બેવડી તકી છે !

Previous articleસાળંગપુર પ્રમુખ સ્વામી વિદ્યાલયમાં તમાકુ  મુક્તિ શાળા કાર્યક્રમનું આયોજન
Next articleપ્રોહીબીશનના ગુનામાં ફરાર અધેવાડાનો શખ્સ ઝડપાયો