મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી ગાંધીજીની ૧પ૦મી જન્મ જ્યંતિ ઉજવણી માટેની રાજ્યકક્ષાની અમલીકરણ સમિતીની બેઠકમાં આગામી ર ઓકટોબરે રાજ્યભરના ગામો-નગરો-શહેરોમાં સવારે ૭ વાગ્યે પ્રાર્થના સભા યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પોરબંદરમાં કિર્તીમંદિરમાં યોજાનારી સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતિની ગરિમામય ઉજવણી રાજ્યમાં આગામી ર, ઓકટોબર-ર૦૧૮ થી ભવ્ય રીતે થાય અને મહાત્મા ગાંધીજીના આદર્શો, વિચારો અને મૂલ્યોનો ખાસ કરીને બાળકો, યુવાનો અને આવનારી પેઢીમાં પ્રચાર-પ્રસાર થાય તેવા કાર્યક્રમો આગામી સમગ્ર બે વર્ષ દરમિયાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.