ભાજપમાં નહીં જોડાઉ, મુલાયમ સાથે કાયમ રહીશ : શિવપાલ

867

દેશના સૌથી મોટા રાજકીય ‘કુનબો’માં તીરાડ પડવાની શરુઆત થઈ ગઈ છે. એક જમાનામાં સમજવાદી પાર્ટીમાં ‘નંબર-ટુ’ રહેલા શિવપાલ યાદવે પાર્ટી સાથે સંબંધો તોડી દીધા છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણી સમયેથી સમાજવાદી પાર્ટીમાં ધમાસાણ શરુ થયુ હતું, જેનું પરિણામ એ હદે પહોંચ્યું કે શિવપાલ યાદવે સેક્યુલર મોરચાના સહારે ઉત્તરપ્રદેશમાં રાજકારણની નવી ચર્ચા આરંભી દીધી છે. નવી પાર્ટીના સ્થાપના સાથે શિવપાલ યાદવે ધર્મનિરપેક્ષ પક્ષોને પોતાની સાથે જોડી દીધા છે અને સાથે સાથે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને મહાગઠબંધનના બહાને એક સલાહ પણ આપી દીધી છે. તેમણે અખિલેશને ટોણો મારતાં કહ્યું કે, ‘બીએસપી અર્થાત માયાવતી સાથે ગઠબંધન પછી, પહેલાં અખિલેશે પોતાનું ‘ઘર’ ઠીક કરવું જોઈએ.’

શિવપાલ યાદવે કહ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી હું પાર્ટીમાં સાઈડલાઈન થઈ રહ્યો હોવાનું જોઉં છું. મને પાર્ટીના કાર્યક્રમોમાં બોલાવવાનો બંધ કરી દીધો છે. એવામાં મજબૂર થઈને સેક્યુલર મોરચાની સ્થાપના કરવી પડી છે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણી અંગે વાતચીત કરતા શિવપાલે કહ્યું કે, અખિલેશ યાદવ આગામી ચૂંટણીમાં ભલે બીએસપી સાથે ગઠબંધનની શક્યતા તલાશી રહ્યા હોય, પરંતુ એમણે સૌથી પહેલાં પોતાની પાર્ટીની વ્યવસ્થિત કરવી પડશે.

એક સમયે સમાજવાદી પાર્ટીમાં ટિકિટ ફાળવણીમાં મહત્વની ભૂમિકા અદા કરનાર શિવપાલ યાદવે કહ્યું કે, હું પહેલીવાર લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છું, પરંતુ ટિકિટનો નિર્ણય મારા હાથમાં નથી. જોકે, આટલું કહ્યાં બાદ શિવપાલે કઈ બેઠક પરથી ચૂંટણી લડશે, તે અંગેનો ફોડ પાડ્યો નહતો.

શિવપાલે કહ્યું કે, મેં નેતાજી(મુલાયમ) સાથે ચાર દાયકાથી પરસેવો પાડીને પાર્ટીનું નિર્માણ કર્યું.એટલે હું નેતાજીથી અલગ થઈ શકું નહીં.

Previous article2013 પછી રૂપિયોમાં સૌથી મોટો ઘટાડો
Next article૨૦૧૯થી JEE-NEET માટે વિદ્યાર્થીઓને મળશે મફત કોચિંગ