લોક મેળા સાથે  શ્રાવણ માસનું સમાપન

1777

ભાદરવી અમાસ શ્રાવણ માસના સમાપન નિમિત્તે ભાવનગર શહેર જિલ્લામાં આવેલ શિવાલયોમાં ભારે ભીડ સાથે મહાપુજાઓ અને લોકો ભાતીગળ મેળાઓ યોજાશે.

શિવભક્તિ- શિવમહિમાં સાથે ભગવાન ભોળીયાનાથને પ્રસન્ના કરવા માટેનો પવિત્ર  માસ એવા શ્રાવણ માસનું આજે સમાપન થશે. શ્રાવણ માસના છેલ્લા દિવસ એટલે ભાદરવી અમાસ નિમિત્તે શહેર જિલ્લામાં આવેલ પ્રાચીન અર્વાચીન શિવાલયોમાં વહેલી પરોઢથી ભક્તો દ્વારા મહાપુજા, અભિષેક સહિતના વૈદિક કાર્યો કરવામાં આવશે આ ઉપરાંત જગવિખ્યાત અને પાંડવ કાલીન સ્થળ કોળીયાકના સમુદ્રમાં બીરાજમાન નિષ્કલંક મહાદેવ ખાતે મોડી સાંજથી જ મેળાનો પ્રારંભ થઈ ચુકયો છે. અત્રે દુર દુરથી ભાવિક ભકતોનો અવિરત પ્રવાહ શરૂ થઈ ચુકયો છે.

પ્રતિ વર્ષ ભાદરવી અમાસ નિમિત્તે લાખોની જન્મેદની સમુદ્ર સ્નાન તથા દર્શન અર્થે ઉમટી પડતી હોય જેને લઈને કોળીયાક ગામ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે. વિશાળ શ્રધ્ધાળુઓના ધસારાને પહોચી વળવા ટ્રાફિક નિયમના પાર્કિંગ, ઉતારા વ્યવસ્થાઓ, તત્કાલ સારવાર આપાત કાલિન ટીમ ફાયર બ્રિગેડ, પીજીવીસીએલ પોલીસ તંત્ર સહિતના વિભાગો દ્વારા નિષ્કલંક ખાતે ફરજ પર તૈનાત કરી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત આ રૂટ પર પોલીસ હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડના જવાનો ખડેપગે સેવા બજાવી રહ્યા છે. સમુદ્ર તટ પર પણ તેકદારીના ભાગરૂપે અને સમુદ્રમાં સાગર તટરક્ષક દળના જવાનો દ્વારા પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સ્થળે પ્રસાદ વિતરણ સહિત સામાજીક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. એ જ રીતે શહેરના પ્રવેશ દ્વારા એવા આખલોલ જકાતનાકા પાસે આવેલ પૌરાણિક ગંગનાથ મહાદેવ ખાતે પણ પરંપરાગત લોક મેળો યોજાશે તો સાંજના સમયે શહેરના જુનવાણી એરિયા એવા ચાવડીગેટ ખાતે આવેલ મોરલીધરની જગ્યામાં  મેળો યોજાશે તથા જિલ્લાના સિહોર સ્થિત ગૌત્તમેશ્વર, નવનાથ સહિતના સ્થળો તથા તળાજા તાલુકાના મોટા ગોપનાથ ખાતે ભાદવી અમાસ નિમિત્તે ભવ્ય ઉત્સવ સાથે લોક મેળો યોજાશે ભાવનગર શહેર જિલ્લામાં ભારે હર્ષોઉલ્હાસ ભેર ભાદરવી અમાસની ઉજવણી સાથે શ્રાવણ માસનું સમાપન થશે.

Previous articleરાજવી પરિવાર દ્વારા ધ્વજા પૂજન
Next articleસિદ્ધપુર નજીક  બે કાર ધડાકાભેર અથડાઇ બંને ચાલકોના મોત