રાજ્યમાં કરોડોના ફાફડા-જલેબી અને ચોળાફળી ઝાપટવા લોકો તૈયાર

956

અમદાવાદ સહિત રાજ્યભરમાં શુક્રવારે વિજયાદશમીની આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે. રાવણદહન, રામલીલા સહિતના ભવ્ય કાર્યક્રમો પણ યોજાશે પરંતુ આ ધાર્મિક ઉજવણી વચ્ચે પણ સ્વાદના રસિયાઓ  દશેરાના દિવસે ફાફડા-જલેબીની પરંપરાગત જયાફત ઉડાવી ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરશે. શહેરમાં ફરસાણની દુકાનોવાળા ફાફડા-જલેબીના વેચાણ માટે ખાસ કાઉન્ટર અને સ્ટોલ ઉભા કર્યા છે કારણ કે, દશેરાએ ફાફડા-જલેબી ખરીદવા લોકોની લાંબી લાઇનો લાગશે. અમદાવાદીઓ માટે ફાફડા-જલેબી વિના વિજયાદશમીના પર્વની ઉજવણી અધૂરી જ ગણવામાં આવે છે. એક અંદાજ અનુસાર અમદાવાદીઓ ગુરૂવાર રાતથી શુક્રવારના સમગ્ર દિવસ દરમિયાન અંદાજે રૂ.૧૭ કરોડથી વધુનાં ફાફડા-જલેબી ઝાપટી જશે. આ વર્ષે ફાફડા-જલેબીમાં ૧૦ થી ૧પ ટકા ભાવવધારો જોવા મળ્યો છે, છતાં વધેલા ભાવની પરવા કર્યા વગર શહેરીજનો હોંશે હોંશે ફાફડા-જલેબી અને ચોળાફળી આરોગશે.

અમદાવાદમાં આવતી કાલ રાતથી જ ફાફડા-જલેબી-ચોળાફળીની ખરીદીમાં ભારે ધસારો જોવા મળશે. આ તડાકાનો લાભ લેવા માટે ફરસાણના વેપારીઓએ સામાન્ય દિવસોની સરખામણીએ ફાફડા-જલેબીની કિંમતમાં પણ વધારો કરી દીધો છે. દશેરાને લઇ ફાફડાનો ભાવ રૂ.૩૪૦થી રૂ.૪૦૦ અને શુધ્ધ ઘીની જલેબીનો રૂ.૬૦૦થી લઇ રૂ.૧૦૦૦ સુધીનો ભાવ બોલાઇ રહ્યો છે. શહેરની પ્રખ્યાત અને નામાંકિત  કેટલીક ફરસાણની દુકાનમાં પ્રતિકિગ્રા ફાફડાની રૂ.૬૫૦ અને જલેબીની રૂ.૭૫૦ કિંમત રાખવામાં આવી છે, જે સામાન્ય દિવસોની સરખામણીએ ૩૦ ટકા વધારે છે. આ ઉપરાંત ચોળાફળીની કિંમત સરેરાશ રૂ.૪૫૦નો ભાવ બોલાઇ રહ્યો છે. મુખ્યત્વે ફરસાણમાં ૦ ટકા ટેક્સ હતો, જે વધીને ૧૨ ટકા જેટલો થઈ જતાં ફરસાણ મોંંઘાં થયાં છે, સાથે-સાથે ડીઝલ અને મજૂરીના ભાવ વધતાં આ ભાવવધારો નોંધાયો છે. દશેરા પર્વ આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે શહેરમાં નવરાત્રી અને દશેરાના પર્વને અનુલક્ષીને ફરસાણ તથા મીઠાઈની દુકાનોમાં ફાફડા-જલેબી બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ફરસાણના અસોસિયેશનના પ્રમુખે જણાવ્યું હતું કે, ફરસાણમાં ૧૨ ટકા જીએસટી લાગતાં તથા વિવિધ મજૂરીના ભાવમાં વધારો થતાં તથા માલ બનાવવા માટે વપરાતા રોમટીરિયલ તથા ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થતાં ભાવ વધારવાની ફરજ પડી છે. દશેરાને લઇ શહેરમાં રાવણદહન અને રામલીલા સહિતના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Previous articleગુજરાત : સ્વાઇન ફ્લુથી વધુ બે મૃત્યુ, ૧૭ નવા કેસો થયા
Next articleમાલણકા ખોડિયાર માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન