સરકારી પ્રાથમિક શાળાઓમાં આજથી બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી ફરજિયાત

1358

રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી ફર?જિયાત કરાઈ છે. સેન્ટ્રલ અટેન્ડન્સ સિસ્ટમ આજથી લાગુ કરવામાં આવી છે. તેથી હવે ચાલુ ફરજ પર ગુટલી મારતા શિક્ષકોનું હવે આવી બનશે. તગડો પગાર લઈને શિક્ષકો શાળાઓમાં અનિયમિત તથા વારંવાર ગેરહાજર રહેતા હોવાનું ધ્યાને આવતાં રાજય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

શાળાઓમાં ફીંગરપ્રિન્ટથી જ હાજરી પુરવાની કામગીરી શરૂ થતાં હવે શિક્ષકોનાં ડીંડક બંધ થશે એટલું જ નહીં, શાળામાં રોજ કેટલા વિદ્યાર્થીઓ આવે છે તેની માહિતી પણ રોજેરોજ સરકારને મળશે. તેથી નામ માત્રના ચોપડે રહેતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ હવે છાની રહેશે નહીં.

રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકની ગુણવત્તા સાથે શિક્ષકોની અનિયમિતતા અંગે વારંવાર અને વ્યાપક ફરિયાદો ઊઠતી હતી. દૂર-દૂરના ગામોની શાળાઓ તો ઠીક, પરંતુ શહેરી વિસ્તારની શાળાઓના રેઢિયાળ તંત્રથી શિક્ષકો માટે વારંવાર વાલીઓ દ્વારા ફરિયાદો વિભાગને મળતી હતી આ સમસ્યાથી છુટકારો મેળવવા હવે શિક્ષણ વિભાગે રાજ્યભરની સરકારી શાળાઓમાં શિક્ષકોની હાજરી પૂરવા ફિંગર પ્રિન્ટ મશીનો મૂકવાનો નિર્ણય કર્યો હતી, જેનો આજથી અમલ થશે.

દરેક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજરી આપશે તેની પૂરેપૂરી માહિતી સરકાર રોજેરોજ મેળવશે. તેથી શાળાઓમાં ચાલતી લાલિયાવાડી દૂર થશે. સેન્ટ્રલ અટેન્ડન્સ સિસ્ટમ અનુસાર તમામ શિક્ષકોએ બાયોમેટ્રિક મશીનમાં તેમની અટેન્ડન્સ ભરવી પડશે. સમગ્ર મહિના દરમિયાન એકત્ર થયેલો ડેટા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ મોકલાશે. ડેટાનું સમયાંતરે મોનીટરરિંગ થશે અને ગુલ્લી મારતા શિક્ષકો સામે કાર્યવાહી થશે. શાળાઓમાં બાયોમેટ્રિક હાજરી ઉપરાંત શાળાઓના આચાર્યોને સ્માર્ટ ફોન આપવામાં આવ્યો છે.

આ સ્માર્ટ ફોનથી આચાર્ય શિક્ષણ વિભાગ તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સાથે સંપર્કમાં રહેશે. આ ઉપરાંત સરકારે એક એપ્લિકેશન બનાવી છે, જેના માટે દરેક શાળામાં એક શિક્ષકને જવાબદારી સોંપાઈ છે, જે આ એપ્લિકેશના માધ્યમથી શાળામાં કેટલા વિદ્યાર્થીઓ આવ્યા અને કેટલા શિક્ષકો આવ્યા તેની એન્ટ્રી પાડીને અપલોડ કરશે. આ એન્ટ્રીની પછીથી વિભાગ દ્વારા ખરાઈ પણ કરશે.

આ સિસ્ટમનો સંપૂર્ણ અમલ થતાં એક મહિના જેટલો સમય લાગશે તેવું પ્રાથમિક શિક્ષણ નિયામક એમ. આઈ. જોશીએ જણાવ્યું હતું. તેમને વધુમાં કહ્યું હતું કે આ સિસ્ટમના કારણે લાંબા સમય સુધી ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓની જાણકારી મળશે. કયા શિક્ષકે કેટલી રજા લીધી તે પણ જાણવા મળશે. તેથી સરકારી શાળામાં નોંધાયેલા હોય પણ શાળાએ ન જતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે. શાળાઓમાં નિયમિત પણે સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવશે.

 

Previous articleકોંગ્રેસમાં કકળાટઃ ધાનાણી-ચાવડાની લડાઈમાં કાર્યકરો નિરાશ, કાર્યક્રમો નિરસ
Next articleગુજરાતના હાઈવે પર પણ વાયુસેનાના લડાકુ વિમાનો લેન્ડિંગ અને ટેક ઓફ કરી શકશે