હેલિકોપ્ટર કૌભાંડના સૌથી મોટા  દોષિતને ભારતમાં લવાયો : મોદી

927

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામમાં બ્રહ્મપુત્ર નદી ઉપર બનેલા દેશના સૌથી લાંબા રેલ-રોડ બ્રિજનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પુલનું ઉદ્‌ઘાટન કર્યા બાદ મોદીએ વિશાળ જનસભાને પણ સંબોધી હતી. મોદીએ પોતાના સંબોધનમાં સરકારની સિદ્ધિઓની વાત કરી હતી. સાથે સાથે કહ્યું હતું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. અહીંના તમામ લોકોને તેઓ રેલ-રોડ બ્રિજ માટે અભિનંદન આપે છે.

સંબોધનની શરૂઆત મોદીએ આસામની ભાષામાં કરી હતી. મોદીએ કહ્યું હતું કે સુશાસન માટે જાણિતા રહેલા વાજપેયીનો આજે જન્મ દિવસ છે. આ બ્રિજ માત્ર એક બ્રિજ નથી બલ્કે આસામ અને અરૂણાચલના લોકો માટે લાઈફ લાઈન સમાન છે. આ બ્રિજના પરિણામ સ્વરૂપે ઈટાનગર-ડિબ્રુગઢ વચ્ચે અંતર ૨૦૦ કિમીથી પણ ઓછું કરવામાં આવ્યું છે. મોદીએ યાદ અપાવતા કહ્યું હતું કે આશરે ૧૬ વર્ષ પહેલા વાજપેયી અહીં આવ્યા હતા. તેમનું સપનું હતું કે બોગી બિલ બ્રિજનો વિકાસ કરવામાં આવે. આ બ્રિજ તેમને શ્રદ્ધાંજલિ છે. જ્યારે ૨૦૦૪માં વાજપેયીની સરકાર જતી રહી હતી ત્યારે વિકાસ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટો પણ રોકાઈ ગયા હતા. મોદીએ ઉમેર્યું હતું કે ૨૦૧૪માં તેમની સરકાર બન્યા બાદ તમામ પ્રોજેકટોને ફરી હાથ ધરવામાં આવ્યા હતા. તમામ અડચણો દુર કરવામાં આવી હતી. ૬૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે આ બ્રિજને દેશને સમર્પિત કરવામાં આવ્યો છે. મોદીએ કહ્યું હતું કે આવી યોજનાઓમાં થનાર વિલંબના લીધે ભારતના વિકાસ ઉપર પ્રતિકુળ અસર થાય છે.

જ્યારે અમે જવાબદારી સંભાળી ત્યારે યોજનાઓમાં તેજી લાવવાનો નિર્ણય કર્યો હતો. ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જન જનની સુનાવણી અને ફરિયાદોને ધ્યાનમાં લેવામાં આવી રહી છે. મોદીએ કહ્યું હતું કે ૩૨ લાખ શૌચાયલ આસામમાં બની ચુક્યા છે. જેના પરિણામ સ્વરૂપે સ્વચ્છતાની હદ ૩૮ ટકાથી વધીને ૫૮ ટકા સુધી પહોંચી ગઈ છે. વીજળીકરણની હદ ૫૦ ટકાથી વધીને ૯૦ ટકા સુધી પહોંચી ગઈ છે.

કોઈ સમય એવો હતો જ્યારે બેન્કોમાં લોકોના ખાતા જ ન હતા. દોઢ કરોડ ખાતા આસામમાં અમારી સરકાર દ્વારા ખોલવામાં આવી ચુક્યા છે. ગરીબોનું, શોષિતોનું, વંચિતોનું સૌથી વધારે નુકસાન ભ્રષ્ટાચારના કારણે થાય છે. ભ્રષ્ટાચાર ગરીબ પાસેથી અધિકાર આંચકી લે છે. છેલ્લા ચાર વર્ષની અંદર અમારી સરકાર ગરીબોને અધિકાર અપાવી રહી છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદાબાજીના મામલામાં વચેટીયા ક્રિશ્ચિયન મિશેલ અંગે મોદીએ કહ્યું હતું કે હેલિકોપ્ટર કૌભાંડમાં સૌથી મોટા આરોપીને ભારત લઈ આવવામાં આવશે તેવું ક્યારેય પણ વિચાર્યું ન હતું પરંતુ તેમની સરકારે આ તમામ પ્રયાસો કર્યા હતા. જેના લીધે મિશેલને ભારત લવાયો છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર ખતમ થતા દેશમાં પ્રગતિ થાય છે. અમારી રમતો પણ તેની અસર જોવા મળી રહી છે. આસામ સહિત દુરગામી ગામોના યુવાનો આજે દેશનું નામ રોશન કરી રહ્યા છે. મોદીએ અગાઉની સરકારો ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે એકબાજુ તેમની સરકાર મહિલાઓને, યુવાનોને રોજગારી માટે મુદ્રા યોજના હેઠળ બેન્ક ગેરન્ટી વગર સાત લાખ કરોડ રૂપિયાની લોન આપી ચુકી છે. બીજી બાજુ પહેલાની સરકારોએ બેન્કોના જે લાખો કરોડ રૂપિયા ફગાવી દીધા હતા તે પૈકી ત્રણ લાખ કરોડ રૂપિયા તેમની સરકાર પરત લાવી શકી છે. અગાઉની સરકારોની સરખામણીમાં ખૂબ ઝડપથી કામ થઈ રહ્યા છે.

Previous articleકર્ણાટકના મુખ્યમંત્રીએ હુમલાખોરોની હત્યા કરવાનાં આપ્યા આદેશ
Next articleસૌથી લાંબા રેલ-માર્ગ પુલનું  નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્‌ઘાટન