ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશેઃ જાવડેકર

730

આર્થિક આધારે અનામત બાદ મોદી સરકારે એક નવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. હવે ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અનામત લાગુ પડશે. માનવસંસાધન વિકાસ મંત્રાલયે જણાવ્યું છે કે સામાન્ય વર્ગમાં આર્થિક રીતે નબળા લોકોને ૧૦ ટકા અનામત આપવાના નિર્ણયનો ૨૦૧૯ના શૈક્ષણિક સત્રથી અમલ કરવામાં આવશે.

આ નિર્ણય અનુસાર ૪૦,૦૦૦ કોલેજો, ૯૦૦ યુનિવર્સિટીઓમાં ૧૦ ટકાનો અનામત ક્વોટા અમલી બનશે. આ માટે જરૂર પડે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં ૨૫ ટકા બેઠકો વધારવામાં આવશે.

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતના દાયરામાં આવતા એસસી/એસટી/ઓબીસી અને સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગોને તેનો લાભ મળશે. માનવસંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે એચઆરડી મંત્રાલય, યુજીસી અને એઆઈસીટીઈની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક સત્રમાં અનામતનો ક્વોટા લાગુ પાડવામાં આવશે. એસસી/એસટી અને અન્ય વર્ગોને પ્રાપ્ત અનામત પ્રભાવિત ન થાય તે માટે ૨૫ ટકા બેઠકો વધારવામાં આવશે.

આ સંદર્ભમાં એક અઠવાડિયામાં આદેશ જારી કરવામાં આવશે, સાથે જ સંસદને જરૂરી જાણકારી આપવામાં આવશે. આ અંગે દેશની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને નિર્દેશ જારી કરવામાં આવશે, સાથે જ તેમને તેમના પ્રોસ્પેક્ટ્‌સમાં પણ તેની માહિતી આપવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કરીને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત લાગુ પાડવા માટે તેની મોડસ ઓપરેન્ડી પર કામ ચાલી રહ્યું છે. એક અઠવાડિયાની અંદર આ બેઠકો અંગેની માહિતી અમારી પાસે આવી જશે અને તેનો અમલ કરવાની પદ્ધતિ પણ ટૂંક સમયમાં જારી કરાશે.

Previous articleમહાત્મા મંદિરના ટેરેસ પર પીએમ મોદી ૨૦૦ મહેમાનો સાથે ગાલા ડિનર કરશે
Next articleઆગામી ત્રણ દિવસ ગાંધીનગર વાયબ્રન્ટ : તમામ તૈયારીઓ પૂર્ણ