ગરમીનું પ્રમાણ ત્રણ ડિગ્રી સુધી વધવાના સ્પષ્ટ સંકેત

608

અદાવાદ સહિત ગુજરાતભરમાં ગરમીનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ગરમીનું પ્રમાણ હજુ વધુ વધે તેવા સંકેત પણ મળવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં બપોરના ગાળામાં હવે તીવ્ર તાપનો અનુભવ થઇ રહ્યો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૬.૬ ડિગ્રી રહ્યું હતું. જો કે, ડિસામાં તો પારો ૩૮થી પણ ઉપર પહોંચી ગયો છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. અમદાવાદની સાથે સાથે રાજ્યમાં પણ પારો વધી રહ્યો છે. આજે રાજ્યના વિવિધ ભાગોમાં પારો ૩૭થી ઉપર પહોંચ્યો હતો. જે વિસ્તારમાં પારો ૩૭થી ઉપર પહોંચ્યો હતો તેમાં અમરેલીમાં ૩૭.૨, સુરેન્દ્રનગરમાં ૩૭.૫, ભુજમાં ૩૭.૪, કંડલા એરપોર્ટમાં ૩૭.૨ અને રાજકોટમાં ૩૭.૬ ડિગ્રી તાપમાન રહ્યું હતું. મિશ્ર સિઝનના પરિણામ સ્વરુપે નાના બાળકો વાયરલ ઇન્ફેક્શનના સકંજામાં આવી રહ્યા છે. ધુળેટી પર્વ પર નાના બાળકો કલર અને પાણીથી હોળી અને ધુળેટી રમ્યા બાદ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. તાવના કેસોમાં પણ વધારો થયો છે. જાણકાર લોકોના કહેવા મુજબ આ પ્રકારની સિઝનમાં નિયમિતતાથી પીછેહઠ થવાની સ્થિતિમાં બિમાર થવાનો ખતરો રહેલો છે.  તહેવારોની સિઝનમાં બેદરકારીના કેસ હંમેશા રહે છે. આવી સ્થિતિમાં તાવના કેસ પણ વધી ગયા છે. મહત્તમ તાપમાનમાં વધારો થવાની સાથે સાથે કોર્પોરેશન દ્વારા જરૂરી પગલા લેવાની શરૂઆત કરવામાં આવી છે. આવતીકાલે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૩૮ સુધી પહોંચે તેવી શક્યતા છે.  ગાંધીનગરમાં આજે મહત્તમ તાપમાન ૩૬.૬ અને અમદાવાદમાં ૩૬.૬ ડિગ્રી પારો રહ્યો હતો. નલિયામાં ૩૪.૬ અને સુરતમાં ૩૪.૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

Previous articleગુજરાત : સ્વાઈન ફ્લુના વધુ ૩૧ કેસો સપાટી પર આવ્યા
Next articleહર્ષોલ્લાસ સાથે પ્રજાજનોએ હોળી-ધૂળેટીની ઉજવણી કરી